Last Updated on by Sampurna Samachar
RSS ની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી
કોંગ્રેસના નેતા પ્રિયંક ખડગેએ લખ્યો પત્ર
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘએ દેશભરમાં તેની ૧૦૦મી વર્ષગાંઠની ઉજવણી કરી રહી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ નિમિત્તે ટપાલ ટિકિટ અને સિક્કો પણ બહાર પાડ્યો છે. જોકે, આ ખુશીના માહોલ વચ્ચે કર્ણાટકના રાજકારણમાં મોટો વિવાદ ઊભો થયો છે, જ્યાં કોંગ્રેસના નેતા પ્રિયંક ખડગેએ સિદ્ધારમૈયા સરકારને પત્ર લખીને RSS ની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના પુત્ર અને સિદ્ધારમૈયા સરકારમાં IT મંત્રી પ્રિયંક ખડગેએ આરએસએસ પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે RSS પર ગેરબંધારણીય પ્રવૃત્તિઓમાં સામેલ થવાનો અને યુવાનો તથા બાળકોને દેશની એકતા અને અખંડિતતા માટે જોખમી બનાવવા માટે ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો છે.
કોંગ્રેસમાં આંતરિક મતભેદોને ઉજાગર કર્યાં
પ્રિયંક ખડગે પત્રમાં આરએસએસની શાખાઓ અને સભાઓ તેમજ તેના જાહેર કાર્યક્રમો પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. સરકારી શાળાઓ, સહાયિત શાળાઓ અને રમતના મેદાનોમાં શાખાઓને મંજૂરી ન આપવા તેમજ સરકારી માલિકીના મંદિરોના ઉપયોગ પર પણ પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. તેમણે દાવો કર્યો કે આરએસએસ તેની પ્રવૃત્તિઓ દ્વારા નફરતના બીજ વાવે છે અને તેના કાર્યકરો પોલીસની પરવાનગી વિના લાકડીઓ લઈને ચાલે છે.
પ્રિયંક ખડગેના પત્રના આધારે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ રાજ્યના મુખ્ય સચિવ શાલિની રજનીશને સમગ્ર મામલો સમજવા અને તેના વિશે માહિતી એકત્રિત કર્યા બાદ જરૂરી પગલાં લેવા જણાવ્યું છે.
ભાજપે પ્રિયંક ખડગેના આ પ્રસ્તાવનો સખત વિરોધ કર્યો છે અને આ પગલાં પાછળ રાજકીય કારણો હોવાનું જણાવ્યું છે. ભાજપના પ્રદેશ પ્રમુખ બી.વાય. વિજયેન્દ્રએ કહ્યું કે, ‘કોંગ્રેસ પાર્ટી આરએસએસની વધતી જતી લોકપ્રિયતાને પચાવી શકતી નથી અને તે હવે અસહિષ્ણુ બની ગઈ છે. દેશભરમાં એવી કોઈ ઘટના બની નથી કે જ્યાં આરએસએસના સભ્યોએ કોઈ અનુશાસનહીનતા દાખવી હોય.‘
ભાજપે આ પ્રસ્તાવને સરકારની નિષ્ફળતાઓ પરથી લોકોનું ધ્યાન હટાવવાનો પ્રયાસ અને કોંગ્રેસમાં ચાલી રહેલા આંતરિક મુખ્યમંત્રી પદના સંઘર્ષનું પરિણામ ગણાવ્યું છે. નોંધનીય છે કે, આ આંતરિક ખેંચતાણ વચ્ચે તાજેતરમાં ડી.કે. શિવકુમારે વિધાનસભામાં આરએસએસની પ્રાર્થનાની બે પંક્તિઓ વાંચીને તેની પ્રશંસા કરી હતી, જેણે કોંગ્રેસમાં આંતરિક મતભેદોને ઉજાગર કર્યાં છે.