Last Updated on by Sampurna Samachar
ભારત સરકારે અમેરિકા, નોર્વે, કેનેડા, રશિયા જેવા નવા દેશોમાંથી LPG આયાત વધારી
સરકારના આ પગલાંને કારણે દેશમાં LPG સિલિન્ડર અંગે ઉભી થયેલી અછતની ચિંતા ટૂંક સમયમાં દૂર થવાની શક્યતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવ અને યુદ્ધની પરિસ્થિતિને કારણે ખાડી પ્રદેશમાં અસ્થિરતા સર્જાઈ છે. તેના કારણે કાચા તેલ અને કુદરતી ગેસના પરિવહન પર અસર પડી છે, જેના પરિણામે ભારતમાં LPG ગેસના પુરવઠા અંગે ચિંતા ઉભી થઈ હતી. જોકે હવે સરકારે આ સમસ્યાને ઉકેલવા માટે મહત્વપૂર્ણ પગલાં લીધા હોવાનું જણાવ્યું છે.

અહેવાલો મુજબ, કેન્દ્ર સરકારે હવે અમેરિકા, નોર્વે, કેનેડા અને રશિયા જેવા નવા દેશોમાંથી વધારાના LPG શિપમેન્ટ મંગાવવાનું શરૂ કર્યું છે. સાથે જ જ્યાં પુરવઠો ઉપલબ્ધ છે તેવા ખાડી દેશોમાંથી પણ ન્ઁય્ની ખરીદી ચાલુ રાખવામાં આવી રહી છે. સરકારના આ પગલાંને કારણે દેશમાં LPG સિલિન્ડર અંગે ઉભી થયેલી અછતની ચિંતા ટૂંક સમયમાં દૂર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ઘણા ગ્રાહકોમાં ચિંતા
દેશના ઘણા વિસ્તારોમાં LPG સિલિન્ડરની અછત અંગે ચર્ચા વચ્ચે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ મહત્વપૂર્ણ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે વિશ્વના બીજા ક્રમના સૌથી મોટા LPG આયાતકાર તરીકે ભારત હાલમાં મર્યાદિત પુરવઠાના પડકારનો સામનો કરી રહ્યું છે. તેમ છતાં, સરકાર દ્વારા પુરવઠો જાળવી રાખવા માટે વિવિધ સ્ત્રોતોમાંથી આયાત વધારવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
આ ઉપરાંત કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયે રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને સલાહ આપી છે કે હોટલ અને રેસ્ટોરન્ટ ક્ષેત્રમાં LPGનો ઉપયોગ ઓછો કરવા માટે બાયોમાસ, કેરોસીન અને કોલસા જેવા વૈકલ્પિક ઇંધણના ઉપયોગને મંજૂરી આપવામાં આવે. આ પગલાંનો મુખ્ય હેતુ ઘરેલુ ગ્રાહકોને ગેસનો પૂરતો પુરવઠો મળી રહે તે સુનિશ્ચિત કરવાનો છે.
હરદીપ સિંહ પુરીએ સંસદમાં જણાવ્યું હતું કે ભારત અગાઉ તેની LPG જરૂરિયાતોના લગભગ ૬૦ ટકા પુરવઠા માટે ગલ્ફ દેશો પર ર્નિભર હતું. પરંતુ હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે આયાતના સ્ત્રોતોનો વિસ્તાર કર્યો છે. સાથે જ કટોકટીની જોગવાઈઓનો ઉપયોગ કરીને રિફાઇનરીઓને LPG ઉત્પાદન વધારવા અને ઉદ્યોગોને વેચાણ મર્યાદિત કરવાની સૂચના આપવામાં આવી છે.
સરકારના આ પગલાંથી દેશના લગભગ ૩૩૩ મિલિયન ઘરેલુ ગ્રાહકોને ગેસની અછતનો સામનો ન કરવો પડે તે સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પેટ્રોલિયમ મંત્રીના જણાવ્યા અનુસાર ઘરેલુ LPG પુરવઠો હાલ પહેલાની જેમ ચાલુ છે, જાેકે અછતની અફવાઓને કારણે ઘણા ગ્રાહકોમાં ચિંતા જોવા મળી રહી છે.
યુનાઇટેડ સ્ટેટ્સ અને ઇઝરાયલ દ્વારા ઇરાન પર થતા હુમલાઓને કારણે હોર્મુઝ સ્ટ્રેટ અને ગલ્ફ ક્ષેત્રમાં શિપિંગ પર અસર પડી છે. તેના કારણે ક્રૂડ ઓઇલ, LPG અને LNG જેવા ઊર્જા સ્ત્રોતોના વૈશ્વિક પુરવઠા પર પણ અસર જોવા મળી રહી છે. તેમ છતાં, ભારત સરકારે વૈકલ્પિક સ્ત્રોતો શોધીને પુરવઠાની સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ શરૂ કર્યો છે.