Last Updated on by Sampurna Samachar
જો અહીં રોજગારીની તકો હોત, તો શા માટે કોઈ મજૂર તરીકે કામ કરવા ઇઝરાયેલ જશે ?
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વિધાનસભામાં કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાનું નામ લીધા વગર ઉગ્ર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, કોંગ્રેસના એક સાંસદ પેલેસ્ટાઈન બેગ લઈને ફરે છે. જ્યારે આપણ UP ના યુવાનોને રોજગાર માટે ઈઝરાયેલ મોકલી રહ્યા છીએ. અત્યાર સુધીમા UP ના ૫૬૦૦ થી વધુ યુવાનો બાંધકામના કામ માટે ઈઝરાયેલ ગયા છે. જ્યાં તેમને મફત રહેવાની સગવડ અને મહિને ૧.૫ લાખ રૂપિયાનો પગાર મળી રહ્યો છે.
ત્યારે અસદુદ્દીન ઓવૈસીએ CM યોગીના આ નિવેદનની આકરી નિંદા કરી છે. તેમણે ટ્વીટ કર્યું કે, ભારત સરકાર પોતે જ ભારતીયોને ઈઝરાયેલની યાત્રા ન કરવાની સલાહ આપી રહી છે. ભાજપની રાજ્ય અને કેન્દ્ર સરકારની નિષ્ફળતાનો આ નક્કર પુરાવો છે કે, ગરીબ લોકોને કામ માટે ઇઝરાયેલ જેવા સ્થળોએ જવાની ફરજ પડી રહી છે. જો અહીં રોજગારીની તકો હોત, તો શા માટે કોઈ મજૂર તરીકે કામ કરવા ઇઝરાયેલ જશે?
મહત્ત્વપૂર્ણ છે કે, કોંગ્રેસ મહાસચિવ અને વાયનાડના સાંસદ પ્રિયંકા ગાંધી પેલેસ્ટાઈનના લોકો સાથે એકતા વ્યક્ત કરતા ‘પેલેસ્ટાઈન’ લખેલી હેન્ડબેગ લઈને સંસદ પહોંચ્યા હતા. તેઓ જે હેન્ડબેગ લઈ આવ્યા હતા, તેના પર અંગ્રેજીમાં ‘PALESTINE ’ લખેલું હતું અને પેલેસ્ટાઈનને લગતા અનેક ચિન્હો પણ હતા. આ મુદ્દે ભાજપ સતત પ્રિયંકા ગાંધી અને કોંગ્રેસ પર નિશાન સાધી રહી છે.
તે જ સમયે, પ્રિયંકા ગાંધી અને પાર્ટીના અન્ય ઘણા સાંસદોએ સંસદ સંકુલમાં બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય અને અન્ય લઘુમતીઓ પર થતા અત્યાચારો વિરુદ્ધ પ્રદર્શન કર્યું અને સરકાર પાસેથી તેમના માટે ન્યાયની માંગ કરી. જ્યાં પ્રિયંકા ગાંધીના હાથમાં એક બેગ હતી, જેના પર “બાંગ્લાદેશના હિંદુઓ અને ખ્રિસ્તીઓ સાથે ઊભા રહો” લખેલું હતું. પ્રિયંકા ગાંધી અને અન્ય કેટલાક સાંસદો સંસદ ભવનમાં ‘મકર દ્વાર’ પાસે એકઠા થયા હતા અને ‘કેન્દ્ર સરકારે જવાબ આપવો જોઈએ’ અને ‘અમને ન્યાય જોઈએ છે’ જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા.