Last Updated on by Sampurna Samachar
રમેશ બિધૂડીએ CM આતિશીના પિતાને લઇ આપેલા નિવેદનની આપી પ્રતિક્રિયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
દિલ્હીમાં આગામી મહિને વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. આ પહેલા દિલ્હીનું રાજકારણ ગરમાયું છે. રમેશ બિધૂડીના નિવેદન પર પ્રતિક્રિયા આપતાં દિલ્હીના મુખ્યમંત્રી આતિશી ભાવુક થઈ ગયા. તેમણે પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતાં કહ્યું કે ‘હું રમેશ બિધૂડીને કહેવા ઈચ્છીશ કે મારા પિતાજી સમગ્ર જીવન શિક્ષક રહ્યાં. તેમણે દિલ્હીના હજારો ગરીબ બાળકોને ભણાવ્યા છે. આજે તેઓ ૮૦ વર્ષના થઈ ગયા છે. તેઓ એટલા બિમાર રહે છે કે આશરા વિના ચાલી શકતાં નથી. તમે ચૂંટણી માટે આવી હરકત કરો છો. એક વૃદ્ધ વ્યક્તિને અપશબ્દો બોલી રહ્યાં છો. આ દેશનું રાજકારણ એટલું ખરાબ થઈ ગયુ છે કે હું ક્યારેય વિચારી પણ શકતી નહોતી. તેઓ પોતાના કામના આધારે વોટ માંગે. તેઓ દક્ષિણ દિલ્હીથી દસ વર્ષ સાંસદ રહ્યાં છે. કાલકાજીના લોકોને જણાવો કે તેમણે દસ વર્ષ શું કર્યું. તેનો હિસાબ આપો? એ ખૂબ દુઃખની વાત છે કે મારા વૃદ્ધ પિતાને અપશબ્દો કહીને તે વોટ માંગી રહ્યાં છે.’
ઉલ્લેખનીય છે કે રમેશ બિધૂડીએ રોહિણીમાં આયોજિત પાર્ટીની પરિવર્તન રેલીને સંબોધિત કરતાં કહ્યું હતું કે ‘દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ તો પોતાના પિતા જ બદલી દીધા. તે માર્લેનાથી સિંહ થઈ ગયા. અરે આ માર્લેના, આ તો સિંહ બની ગઈ ભૈયા. નામ બદલી લીધું. કેજરીવાલે બાળકોના સોગંધ ખાધા હતા. ભ્રષ્ટાચારી કોંગ્રેસની સાથે નહીં જઉં. માર્લેનાએ નામ બદલી દીધું. પહેલા માર્લેના હતું, હવે સિંહ બની ગઈ. આ તેમનું ચરિત્ર છે. તેમણે CM આતિશીના માતા-પિતા પર પણ નિશાન સાધ્યું અને દાવો કરતાં કહ્યું હતું કે આ જ માર્લેનાના પિતા અને માતાએ સંસદ હુમલાના દોષી અફઝલ ગુરુની માફી માટે અરજી આપી હતી.
ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં આ વખતે ત્રિકોણીય ટક્કર રસપ્રદ થવાની છે. કેજરીવાલની સામે પોતાની સરકાર ફરીથી બનાવવાનો પડકાર છે તો ભાજપ ૧૯૯૮ થી સત્તાથી દૂર થવાનો દુકાળ ખતમ કરવા ઈચ્છે છે. આ દરમિયાન દિવંગત પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતની સરકાર બાદ કોંગ્રેસ પણ સત્તા સુખ પોતાના દમ પર લઈ શકી નહીં એટલે કે ક્યાંક સત્તા બચાવવાનો પડકાર છે તો ક્યાંક સત્તામાં આવવાની બેચેની છે. દરમિયાન નિવેદનબાજીનો સમય છે અને આ ક્રમમાં ભાજપના પૂર્વ સાંસદ અને કાલકાજીથી ઉમેદવાર બિધૂડીએ પહેલા પ્રિયંકા ગાંધીને લઈને વિવાદિત નિવેદન આપ્યું પછી તેમણે દિલ્હીના મુખ્યમંત્રી આતિશી પર પણ અપમાનજનક ટિપ્પણી કરી દીધી.