Last Updated on by Sampurna Samachar
૨૭ RSS સ્વયંસેવકો સામે કેસ દાખલ કરવામાં આવ્યો
મંદિરમાં ઓપરેશન સિંદૂરવાળી રંગોળી બનાવનારા સામે કેસ દાખલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઓણમ ઉત્સવ દરમિયાન કેરળના કોલ્લમ જિલ્લાના એક મંદિરમાં ફૂલોની રંગોળી બનાવવાના આરોપમાં ૨૭ RSS સ્વયંસેવકો સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ અંગે શનિવારે પોલીસે માહિતી આપી હતી. મંદિર સમિતિ દ્વારા કેરળ હાઈકોર્ટના આદેશનું ઉલ્લંઘન કર્યું હોવાનું કહી, આ સંદર્ભમાં કેસ નોંધવામાં આવ્યો હતો. જોકે, ભાજપે પોલીસ કાર્યવાહીની નિંદા કરી હતી અને દાવો કર્યો હતો કે, મુથુપ્પીલકડના પાર્થસારથી મંદિરમાં બનાવેલી રંગોળી ઓપરેશન સિંદૂરના સન્માનમાં બનાવવામાં આવી હતી.
મંદિર સમિતિના એક અધિકારી અશોકન સી. દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ ૨૨૩ (લોક સેવકો દ્વારા કાયદેસર રીતે જાહેર કરાયેલા આદેશોનું ઉલ્લંઘન), ૧૯૨ (હુલ્લડો કરવાના ઈરાદાથી જાણી જોઈને ઉશ્કેરણી કરવાની કાર્યવાહી) અને ૩(૫) (ઘણા વ્યક્તિઓ દ્વારા કરવામાં આવેલ ગુનાહિત કૃત્ય) હેઠળ કેસ નોંધ્યો છે.
કેરળમાં જમાત-એ-ઇસ્લામીનું પાકિસ્તાનનું શાસન
ફરિયાદ અનુસાર આરોપીઓએ મંદિરના મુખ્ય માર્ગ પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ધ્વજના ચિત્રવાળી ફૂલોની રંગોળી બનાવી હતી, જે હાઈ કોર્ટના એ આદેશનું ઉલ્લંઘન કર્યું હતું, જેમાં સમિતિની મંજૂરી વગર મંદિર પરિસરમાં ફ્લેક્સ બોર્ડ સહિત કોઈપણ પ્રકારની સજાવટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. મંદિરથી ૫૦ મીટર દૂર છત્રપતિ શિવાજીનું ફ્લેક્સ બોર્ડ પણ લગાવવામાં આવ્યું હતું.
મંદિર સમિતિના સભ્ય મોહનને મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, તહેવારો દરમિયાન મંદિરની નજીક ધ્વજ લગાવવાને લઈને ભૂતકાળમાં ઘણી વખત ઘર્ષણ થયું છે. આ પ્રકારના ઘર્ષણ ટાળવા માટે અમે હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેમાં ૨૦૨૩ માં મંદિર પરિસરની નજીક ધ્વજ સહિત કોઈપણ સુશોભન વસ્તુઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તેમ છતાં, RSS ના સ્વયંસેવકોએ મંદિર સમિતિની ફૂલોની ડિઝાઇનની બાજુમાં તેમના ધ્વજ સાથે ફૂલોની રંગોળી બનાવી અને ફૂલોથી ઓપરેશન સિંદૂર લખ્યું હતું.
અધિકારીએ કહ્યું કે, આ હાઇકોર્ટના આદેશનું ઉલ્લંઘન થયું છે અને તેનાથી સંઘર્ષ વધી શકે છે, જેથી અમે ફરિયાદ નોંધાવી છે. અમે ઓપરેશન સિંદૂરનું સંપૂર્ણ સન્માન કરીએ છીએ, પરંતુ આરોપીઓ જે ચિત્રણ કરી રહ્યા છે તે એવું નથી. ભાજપે એક નિવેદનમાં પોલીસ પર નિશાન સાધતાં કહ્યું કે, આ ઘટના આઘાતજનક છે. ભાજપના પ્રદેશ પ્રમુખ રાજીવ ચંદ્રશેખરે પ્રશ્ન કર્યો કે કેરળમાં જમાત-એ-ઇસ્લામીનું પાકિસ્તાનનું શાસન છે.