Last Updated on by Sampurna Samachar
ભારતે બેલ્જિયમ સાથે ડિટેલ્સ શેર કરી
માનવ અધિકાર મુજબ મુંબઈની આર્થર જેલમાં રાખવાનો દાવો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારત માટે મેહુલ ચોક્સીનું પ્રત્યાર્પણ હવે ચર્ચાનો વિષય બન્યો છે. ૬૬ વર્ષીય આ બિઝનેસમેન પર પંજાબ નેશનલ બેંકમાં ૧૨૦૦૦ કરોડ રુપિયાના કૌંભાડનો આરોપ છે. બેલ્જિયમના એન્ટવર્પમાં તેની ધરપકડ બાદ ભારતે તેમના પ્રત્યાર્પણ માટેના પ્રયાસો તેજ કર્યા છે.
ભારતે બેલ્જિયમને ખાતરી આપી છે કે, ચોક્સીને મુંબઈની માનવ અધિકાર પ્રમાણે આર્થર જેલમાં રાખવામાં આવશે. પરંતુ હવે સવાલ એ છે કે, શું ખરેખર ચોક્સીને ત્યાં આ સુવિધા મળશે, જે ભારત દાવો કરી રહ્યું છે.?
ચોક્સીને દિવસમાં ત્રણવાર ભોજન અપાશે
ભારતે બેલ્જિયમને એક પત્ર મોકલીને જણાવ્યું કે, ચોક્સીને આર્થર રોજ જેલમાં બેરેક નંબર ૧૨માં રાખવામાં આવશે. આ જેલમાં તેમને સ્વચ્છ સાદડી, ઓશીકું, ચાદર અને ધાબળો આપવામાં આવશે. તેમજ જો જરુર પડશે તો લાકડાં કે લોખંડનો પલંગ પણ આપવામા આવશે. તેમના વકીલનું કહેવું છે કે, તેમને કેન્સર જેવી ગંભીર બીમારી છે, જેથી તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખાસ જરુરી છે.
ભારતનો દાવો છે કે, ચોક્સીને જેલમાં સ્વચ્છ પાણી, ૨૪ કલાક મેડિકલ સુવિધા અને સારુ ભોજન મળશે. જેલની રોજ સાફ – સફાઈ કરવામાં આવશે અને બેરેકમાં લાઈટ અને હવાની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવશે. તેમને દરરોજ એક કલાકથી વધારે સમય બહાર ફરવા, કસરત કરવા અને મનોરંજન માટે આપવામાં આવશે.
મુંબઈનું હવામાન આખું વર્ષ સામાન્ય રહે છે. જેથી ન તો વધારે ગરમી છે અને ન તો એસીની જરુર છે. જેલમાં ભોજન અંગે વાત કરીએ તો. ચોક્સીને દિવસમાં ત્રણવાર ભોજન આપવામાં આવશે. જો મેડિકલના કારણે ખાસ ડાયટની જરુર હશે તો પણ આપવામાં આવશે.