Last Updated on by Sampurna Samachar
સપ્ટેમ્બર-૨૦૨૫ સુધી ખરીદી થશે
ઈ-માર્કેટ પોર્ટલ પર નોંધણી કરાવવાની રહેશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ખેડૂતોને દરેક પાકના પોષણક્ષણ ભાવ મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે સરકાર દ્વારા હવે કપાસના પાકની પણ ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે. ભારત સરકારના જાહેર સાહસ-ભારતીય કપાસ નિગમ લી. દ્વારા આગામી સપ્ટેમ્બર-૨૦૨૫ સુધી કપાસની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે.
ભારત સરકારે કપાસ માટે રૂ. ૭,૪૭૧ ટેકાનો ભાવ જાહેર કર્યો છે. ટેકાના ભાવે કપાસનું વેચાણ કરવા ઇચ્છતા રાજ્યના ખેડૂતોએ આગામી તા. ૧૫ માર્ચ, ૨૦૨૫ સુધીમાં ખરીદ કેન્દ્રો ખાતેથી ભારતીય કપાસ નિગમના ઈ-માર્કેટ પોર્ટલ પર નોંધણી કરાવવાની રહેશે. આ સમયમર્યાદામાં અરજી કરી હશે, તેવા ખેડૂતો પાસેથી જ કપાસની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે.
ખરીદ કેન્દ્રો કાર્યરત કરાયા
ભારતીય કપાસ નિગમ દ્વારા અમદાવાદ ઝોનના ખેડૂતો માટે બહાદરપુર, બાવળા, બોડેલી, ચાણસ્મા, ડભોઇ, દહેગામ, ધંધુકા, ધોળકા, હાંડોદ, હારીજ, હિંમતનગર, ઈડર, જાદર, કલેડીયા, કપડવંજ, કરજણ, કોસિન્દ્રા, કુકરમુંડા, માણસા, નસવાડી, નિઝર, પાલેજ, પાવીજેતપુર, સમલાયા, સાઠંબા, તલોદ, વડાલી, વાલિયા, વિજાપુર અને વિસનગર ખાતે ખરીદ કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે.
તેવી જ રીતે, રાજકોટ ઝોનના ખેડૂતો માટે અમરેલી, બાબરા, બગસરા, રાજુલા, સાવરકુંડલા, દામનગર, ટીંબી, ખાંભા, ગારીયાધાર, મહુવા, પાલીતાણા, ઉમરાળા, તળાજા, બોટાદ, ઢસા, રાણપુર, ગઢડા, ભાણવડ, ઉના, ધ્રોલ, જામ-જોધપુર, જામનગર, કાલાવડ, માણાવદર, અંજાર, ભુજ, માંડવી, હળવદ, મોરબી, વાંકાનેર, પોરબંદર, ધોરાજી, ગોંડલ, જસદણ, જામકંડોરણા, જેતપુર, કોટડા-સાંગાણી, રાજકોટ, ઉપલેટા, ચોટીલા, ધ્રાંગધ્રા, લીંબડી, વઢવાણ અને લખતર ખાતે ખરીદ કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે.
આ સંદર્ભે ખેડૂતોની સમસ્યા અથવા ફરિયાદ માટે વોટ્સએપ હેલ્પલાઈન નંબર +૯૧ ૭૭૧૮૯૫૫૭૨૮ જાહેર કર્યો છે. ખેડૂતો આ નંબર પર મેસેજ મોકલીની સમસ્યા અથવા ફરિયાદ નોંધાવી શકે છે.