Last Updated on by Sampurna Samachar
શર્મિષ્ઠા CJM ની મંજૂરી વિના દેશની બહાર જઈ શકશે નહીં
કોઈ ચોક્કસ વર્ગની લાગણીઓને ઠેસ પહોંચી
(સંપૂર્ણ સમાચાર સેવા)
કોલકાતા હાઈકોર્ટે શર્મિષ્ઠા પનોલીને વચગાળાના જામીન આપ્યા છે. ૨૨ વર્ષીય લૉની વિદ્યાર્થીની અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરની જામીન અરજી પર સુનાવણી કરતા જસ્ટિસ રાજા બસુએ શરતી વચગાળાના જામીન મંજૂર કર્યા હતા.

કોલકાતા હાઈકોર્ટે શર્મિષ્ઠાને વચગાળાના જામીન આપતી વખતે ઘણી શરતો લગાવી છે. કોર્ટે શર્મિષ્ઠાને દેશ છોડવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. કોર્ટે કહ્યું હતું કે શર્મિષ્ઠા ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (CJM) ની મંજૂરી વિના દેશની બહાર જઈ શકશે નહીં. કોર્ટે એમ પણ કહ્યું કે તેણીએ ૧૦,૦૦૦ રૂપિયાની જામીન બોન્ડ જમા કરાવવા પડશે.
તમે કોઇની લાગણીને ઠેસ પહોંચાડી શકતા નથી
કોર્ટે કોલકાતા પોલીસને નિર્દેશ આપ્યા હતા કે શર્મિષ્ઠા દ્ધારા ધરપકડ પહેલા તેની સુરક્ષા અંગે નોંધાવેલી ફરિયાદના આધારે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. શર્મિષ્ઠાએ દાવો કર્યો હતો કે તેણીની સોશિયલ મીડિયા પોસ્ટ બાદ તેણીને ધમકીઓ મળી રહી છે. અગાઉ શર્મિષ્ઠાની જામીન અરજી પર સુનાવણી કરતી વખતે હાઈકોર્ટે તેના વકીલને કહ્યું હતું કે વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો હતો અને એવું સાંભળવામાં આવ્યું હતું કે તેનાથી કોઈ ચોક્કસ વર્ગની લાગણીઓને ઠેસ પહોંચી છે.
બેન્ચે કહ્યું કે આપણને અભિવ્યક્તિની સંપૂર્ણ સ્વતંત્રતા છે, તેનો અર્થ એ નથી કે તમે કોઈની પણ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી શકો છો. જો સજા સાત વર્ષથી ઓછી હોય તો પણ પોલીસને કોઈપણની ધરપકડ કરવાનો સંપૂર્ણ અધિકાર છે.
બેન્ચે કહ્યું કે જો કથિત ગુનાની સજા ૭ વર્ષથી ઓછી હોય તો તેનો અર્થ એ નથી કે પોલીસ તમારી ધરપકડ કરી શકતી નથી. જો ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૫ની કોઈપણ શરત પૂરી થાય છે તો પોલીસ ઇચ્છે તો કોઈપણની ધરપકડ કરી શકે છે, તમારે પહેલા જોગવાઈઓ વાંચવી જોઈએ.
હાઈકોર્ટે એમ પણ કહ્યું કે કોઈપણ વ્યક્તિએ આવી ટિપ્પણી કરતી વખતે સાવચેત રહેવું જોઈએ, કારણ કે આપણા દેશમાં વિવિધ સમુદાયો, જાતિઓ અને ધર્મોના લોકો સાથે રહે છે. કોર્ટે ર્નિણય લીધો છે કે શર્મિષ્ઠા પનોલી વિરુદ્ધ કોલકાતાના ગાર્ડનરિચ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો કેસ મુખ્ય કેસ માનવામાં આવશે, કારણ કે તે પહેલા નોંધાયેલો હતો. તેમની વિરુદ્ધ નોંધાયેલા અન્ય તમામ કેસોની કાર્યવાહી બંધ કરવામાં આવશે.