Last Updated on by Sampurna Samachar
જબલપુરના બે સગા ભાઈઓની છરીના ઘા ઝીંકીને હત્યા કરાઇ
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજકોટ શહેરમાં બે સગા ભાઇઓની છરીના ઘા ઝીંકી હત્યા કરાઇ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર સામા કાંઠા વિસ્તારમાં આવેલા ગોવિંદ બાગ શાક માર્કેટ પાસે મૂળ મધ્યપ્રદેશના જબલપુર જિલ્લાના બે જેટલા સગા ભાઈઓની છરીના ઘા ઝીંકીને હત્યા સગા સાળા-બનેવી દ્વારા કરવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો છે.
હત્યા અન્ય કોઈએ નહીં પરંતુ પાડોશમાં જ રહેતા સાળા-બનેવી છોટુ ઉર્ફે સંજય ગુપ્તા અને વિજય ગુપ્તા નામના વ્યક્તિઓ દ્વારા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર બનાવમાં ચાંદી કામના વ્યવસાય સાથે સંકળાયેલા ૨૯ વર્ષીય અમિત જૈન અને ૨૬ વર્ષીય વીકી જૈન નામના ભાઈઓની હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. ત્યારે બી ડિવિઝન પોલીસ દ્વારા હત્યામાં સામેલ બંને આરોપીઓને હાલ રાઉન્ડ અપ કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
માત્ર નજીવી બાબતે પાડોશમાં જ રહેતા વ્યક્તિઓએ હત્યા કરી હોવાનંન સામે આવ્યું છે. મૃતક અમિતની ૨૯ વર્ષીય પત્ની અમીના જૈન દ્વારા રાજકોટ શહેરના બી ડિવિઝન પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, “અમારા લગ્નને નવ વર્ષ જેટલો સમયગાળો થયો છે. લગ્નજીવન થકી મારે સાત વર્ષનો દીકરો તેમજ ૧૧ માસની દીકરી છે. મારા પતિ તેમજ મારા દિયર બંને ચાંદી કામના વ્યવસાય સાથે સંકળાયેલા હતા.
છેલ્લા એક મહિનાથી અમે ભાડે રહીએ છીએ. અમારા ચાર મકાન વચ્ચે માત્ર એક જ સંડાશ બાથરૂમ છે. ૧૦ ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ મારા દિયર આકાશની પત્ની અનુ તેમને કંઈ પણ કહ્યા વગર જતી રહી હતી. જેથી મારા દિયર ખૂબ જ ગુસ્સામાં હતા. તેમજ ગુસ્સામાં તેઓ ઘરે જોર જોરથી રાડો પાડતા હતા. તે વખતે અમારી સામે રહેતા વિજય ગુપ્તાએ અમારી સાથે ઝઘડો કર્યો હતો અને ‘કેમ તમારા ઘરમાંથી કેમ મોટે મોટે અવાજ આવે છે?’ તેમ કહી ધમકાવવા લાગ્યા હતા.
રાત્રિના સમયે મારા પતિ અમિત પેશાબ કરવા માટે શૌચાલયમાં ગયા હતા. ત્યારે નીચેના માળે રહેતો છોટુ ઉર્ફે સંજય ગુપ્તા પણ શૌચાલય પાસે આવ્યો હતો. તેમજ જોર જોરથી બૂમો પાડવા લાગ્યો હતો. તેમજ કહેવા લાગ્યો હતો કે, ‘કોણ હરામી અંદર ગયેલ છે?’ તેમ કહી મન ફાવે તેમ ગાળ બોલવા લાગ્યો હતો. ત્યારબાદ છોટુ ઉર્ફે સંજય અચાનક ઉશ્કેરાઈ ગયો હતો અને મારા પતિને ઢીકા પાટુનો માર માર્યો હતોત્યારબાદ મારા દિયર વિક્કી અને મારા દિયર આકાશ પણ પતિને બચાવવા માટે દોડી આવ્યા હતા.
છોટુ ઉર્ફે સંજયને માર મારતા જોઈ વિજય ગુપ્તા પણ તેની મદદગારી કરી માર મારતા નજરે પડ્યો હતો. તે સમયે છોટુ ઉર્ફે સંજય દ્વારા છરી વડે અમિત અને વીકીને પેટના ભાગે તેમજ પગના ભાગે આડેધડ મારી દીધા હતા. જેથી લોહી લુહાણા હાલતમાં ૧૦૮ મારફતે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મારા પતિ અમિત જૈન અને દિયર વિકી જૈનને મૃત જાહેર કર્યા હતા.”