Last Updated on by Sampurna Samachar
સામાજીક કાર્યકર્તાએ ત્રણેય એકટર સામે કરી ફરિયાદ
જો આવું ફરી થશે તો સજા અને દંડ વધી શકે
(સંપૂર્ણ સમાચાર સેવા)
બોલીવુડ (BOLLYWOOD ) ના સુપર સ્ટાર બાદશાહ એવા શાહરુખ ખાન અને અજય દેવગન , ટાઈગર શ્રોફને બોલો જુબાં કેસરી … પાન મસાલાની જાહેરાત કરવા ભારે પડી હોય તેમ જણાઇ રહ્યુ છે. હાલમાં જ રાજસ્થાનના કોટામાં એક સામાજિક કાર્યકર્તાએ આ ત્રણેય એક્ટર વિરુદ્ધ કન્ઝ્યૂમર કોર્ટમાં ફરિયાદ કરી છે.
જે ફરિયાદમાં જણાવ્યા અનુસાર બોલો જુબાં કેસરીમાં આ એક્ટર કેસર યુક્ત પાન મસાલાનો પ્રચાર કરીને યુવાનોને ગુમરાહ કરી રહ્યા છે. તેના પર આયોગે ન ફક્ત આ બોલીવુડ સ્ટારને પણ આ પ્રોડક્ટ બનાવતી કંપનીને પણ નોટિસ ફટકારી ૨૧ એપ્રિલ સુધીમાં જવાબ માંગ્યો છે.
કોટામાં ભાજપના નેતા અને સિનિયર વકીલ વિવેક નંદવાના સાથે ઈંદ્ર મોહન હનીએ ગ્રાહક સુરક્ષા અધિનિયમની ધારા ૮૯ અંતર્ગત ફરિયાદ દાખલ કરી હતી. તેમનું કહેવું છે કે કેસર એક મોંઘો મસાલો છે, જેની કિંમત હજારો રુપિયા પ્રતિ ગ્રામ હોય છે. ત્યારે આવા સમયે પાન મસાલા, જે ખૂબ જ મામૂલી કિંમતે વેચાય છે, તેમાં અસલી કેસર હોવાનો દાવો શંકાસ્પદ છે.
પાન મસાલાની જાહેરાત યુવાનોને કરી રહી છે ગુમરાહ
અરજીકર્તાએ તર્ક આપ્યો છે કે, આ દાવાની કોઈ વૈજ્ઞાનિક પુષ્ટિ નથી થઈ. તેમનો આરોપ છે કે આ જાહેરાત યુવાનોને પાન મસાલા ખાવા માટે ઉકસાવી રહી છે, જેનાથી સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડે છે. આ ઉપરાંત પાન મસાલા પેકેટ પર ચેતવણી નાના અક્ષરોમાં લખાયેલી હોય છે, જેને વાંચવી પણ મુશ્કેલ છે.
આ કેસમાં, ફક્ત કંપની જ નહીં પરંતુ તેના બ્રાન્ડ એમ્બેસેડર શાહરૂખ ખાન, અજય દેવગન અને ટાઇગર શ્રોફને પણ નોટિસ મોકલવામાં આવી છે. અરજદારોનું કહેવું છે કે આ સુપરસ્ટાર્સની લોકપ્રિયતા યુવાનો પર ઊંડી અસર કરે છે. જ્યારે આ સ્ટાર્સ જાહેરાતોમાં પાન મસાલાના વખાણ કરે છે, ત્યારે લોકો તેમના પર વિશ્વાસ કરે છે અને તેને ખરીદે છે.
આવી સ્થિતિમાં, આ સ્ટાર્સ ભ્રામક જાહેરાતોનો ભાગ બનવા માટે પણ જવાબદાર છે. કોટા ગ્રાહક આયોગના પ્રમુખ અનુરાગ ગૌતમે આ બાબતને ગંભીરતાથી લીધી છે અને નોટિસ જારી કરી છે. બધા પક્ષોએ ૨૧ એપ્રિલ સુધીમાં જવાબ આપવો પડશે. એડવોકેટ વિવેક નંદવાનાએ જણાવ્યું હતું કે ગ્રાહકોના અધિકારોનું રક્ષણ કરવા અને ભ્રામક જાહેરાતોને રોકવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.
તેમનો ઉદ્દેશ્ય આવી કંપનીઓ અને તેમના પ્રમોટરોને જવાબદાર બનાવવાનો છે. ગ્રાહક સુરક્ષા કાયદાની કલમ ૮૯ હેઠળ ગેરમાર્ગે દોરનારી જાહેરાતોને ગંભીર ગુનો ગણવામાં આવે છે. પહેલી વાર ઉલ્લંઘન કરવા પર ૧૦ લાખ રૂપિયા સુધીનો દંડ અને ૨ વર્ષની જેલની સજા થઈ શકે છે. જો આવું ફરી થશે તો સજા અને દંડ વધી શકે છે.