Last Updated on by Sampurna Samachar
સુભાષ ઘાઈ ઇસ્કેમિક હાર્ટ ડિસીઝના દર્દી
(સંપૂર્ણ સમાચાર સેવા)
રામ લખન, સૌદાગર, ખલનાયક, પરદેશ અને તાલ જેવી શાનદાર અને હિટ ફિલ્મો આપનાર હિન્દી સિનેમાના દિગ્ગજ દિગ્દર્શક સુભાષ ઘાઈને મોડી સાંજે બાંદ્રાની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ સમાચારે તેમના ચાહકોની ચિંતા વધારી દીધી છે, જેઓ ઘણા સમયથી તેમના સ્વાસ્થ્ય અપડેટની રાહ જોઈ રહ્યા હતા. દરમિયાન, તેમની ટીમ દ્વારા ડિરેક્ટરનું હેલ્થ અપડેટ જાહેર કરવામાં આવ્યું અને કહેવામાં આવ્યું છે કે તેમની તબિયત હવે કેવી છે.
ફિલ્મ નિર્માતા સુભાષ ઘાઈની તબિયત હવે ઠીક છે. તેમના પ્રવક્તાએ આ માહિતી આપી હતી. પ્રવક્તાએ કહ્યું કે સુભાષ ઘાઈને નિયમિત તપાસ માટે બાંદ્રાની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેમની સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે. તેમણે મળેલા પ્રેમ અને ચિંતા માટે દરેકનો આભાર પણ માન્યો હતો. અગાઉ, હોસ્પિટલ દ્વારા કહેવામાં આવ્યું હતું કે સુભાષ ઘાઈ ઇસ્કેમિક હાર્ટ ડિસીઝના દર્દી છે અને તાજેતરમાં જ તેમને હાઈપોથાઈરોડિઝમનું પણ નિદાન થયું હતું. તેમને ડો. રોહિત દેશપાંડેની દેખરેખ હેઠળ આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. જાે કે હવે તેમની તબિયતમાં સુધારો જોવા મળી રહ્યો છે.
તેમની તબિયતની અપડેટ બહાર આવ્યા બાદ તેના ચાહકોએ રાહતનો શ્વાસ લીધો હતો. સુભાષ ઘાઈએ હિન્દી સિનેમામાં અભિનેતા તરીકે તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે ‘તકદીર’ અને ‘આરાધના’ જેવી ફિલ્મોમાં નાની ભૂમિકાઓ ભજવી હતી. આ પછી તે ‘ઓમંગ’ અને ‘ગુમરાહ’ જેવી ફિલ્મોમાં લીડ રોલમાં જોવા મળ્યા હતા. પરંતુ એક અભિનેતા તરીકે તે વધારે સફળતા મેળવી શક્યા ન હતા, ત્યારબાદ તેમણે દિગ્દર્શનની દુનિયામાં પ્રવેશ કર્યો અને ઘણી સફળતા મેળવી.
સુભાષ ઘાઈ લગભગ ૫૭ વર્ષથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યા છે. તેણે ૧૯૬૭માં પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી અને અત્યાર સુધીમાં ડઝનેક ફિલ્મોનું નિર્દેશન કર્યું છે. જેમાંથી ૧૩ ફિલ્મો બોક્સ ઓફિસ પર જબરદસ્ત હિટ રહી છે. તેમની પ્રખ્યાત ફિલ્મોમાં કાલીચરણ , કર્જ , હીરો , રામ લખન , સૌદાગર ,ખલનાયક ,પરદેશનો સમાવેશ થાય છે. તેમને ૨૦૦૬માં નેશનલ ફિલ્મ એવોર્ડ પણ મળ્યો હતો. તેણે હાલમાં જ તેનું પુસ્તક ‘કર્મ કા બાલક’ રિલીઝ કર્યું.