Last Updated on by Sampurna Samachar
પીએમ મોદીના પત્ર પર ખડગેનો સવાલ- સરકાર ઉતાવળમાં કેમ?
વડાપ્રધાને પોતાના પત્રમાં આગામી સપ્તાહે મહિલા અનામત બિલોને સર્વસંમતિથી પસાર કરાવવા માટે તેમનો ટેકો માંગ્યો છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહિલા અનામત બિલ પર કેન્દ્ર સરકાર અત્યંત સક્રિય થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મુદ્દે સતત વિપક્ષી દળો પાસેથી સમર્થનની માંગ કરી રહ્યા છે. શનિવારે બંને ગૃહોમાં તમામ પક્ષોના ફ્લોર લીડર્સનો સંપર્ક કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં, PM મોદીએ રાજકીય પક્ષોને પત્ર લખીને આ બિલ પર સમર્થન માંગ્યું છે. વડાપ્રધાને પોતાના પત્રમાં આગામી સપ્તાહે મહિલા અનામત બિલોને સર્વસંમતિથી પસાર કરાવવા માટે તેમનો ટેકો માંગ્યો છે.

આ બિલોનો હેતુ ૨૦૨૯થી લોકસભા અને વિધાનસભાઓમાં મહિલાઓ માટે એક તૃતીયાંશ બેઠકો અનામત રાખવાનો છે. PM મોદીના પત્ર પર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે સરકાર રાજકીય ફાયદા માટે મહિલા અનામત કાયદાના અમલીકરણમાં ઉતાવળ કરી રહી છે.
બિલોને પાસ કરાવવાની સંપૂર્ણ કોશિશ
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન મોદીને કહ્યું કે પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ છે. આ દરમિયાન સંસદનું વિશેષ સત્ર બોલાવવું એ ધારણાને બળ આપે છે કે સરકાર રાજકીય ફાયદા માટે મહિલા અનામત કાયદાને લાગુ કરવામાં ઉતાવળ કરી રહી છે. વડાપ્રધાન મોદીને લખેલા પત્રમાં ખડગેએ એ માંગ કરી કે સીમાંકન મુદ્દે ચર્ચા કરવા માટે ૨૯ એપ્રિલ પછી એક સર્વદળીય બેઠક બોલાવવામાં આવે. આ સીમાંકનને નારી શક્તિ વંદન અધિનિયમ, ૨૦૨૩માં સુધારાઓ સાથે જોડવામાં આવી રહ્યું છે.
ખડગેનો જવાબ વડાપ્રધાનના એ પત્રના જવાબમાં આવ્યો છે જેમાં તેમણે ૧૬ એપ્રિલથી નારી શક્તિ વંદન અધિનિયમ પર ચર્ચા માટે સંસદના વિશેષ સત્રનો ઉલ્લેખ કર્યો હતો.
PM મોદીએ પોતાના પત્રમાં લખ્યું, ઘણા વિચાર-વિમર્શ પછી, અમે એ નિષ્કર્ષ પર પહોંચ્યા છીએ કે હવે સમગ્ર દેશમાં નારી શક્તિ વંદન અધિનિયમને તેની સાચી ભાવના સાથે લાગુ કરવાનો સમય આવી ગયો છે. એ અત્યંત જરૂરી છે કે ૨૦૨૯ની લોકસભા ચૂંટણી અને વિધાનસભા ચૂંટણીઓ મહિલાઓ માટે અનામતની સાથે જ કરાવવામાં આવે.
આ સાથે જ મોદીએ સંકેત આપ્યો કે તેમની સરકાર ૧૬ એપ્રિલથી શરૂ થઈ રહેલા સત્ર દરમિયાન આ બિલોને પાસ કરાવવાની સંપૂર્ણ કોશિશ કરશે. વડાપ્રધાને પોતાના પત્રમાં તમામ પક્ષોને સમર્થનની અપીલ કરતા લખ્યું કે તમારું સમર્થન, આપણા દેશની મહિલાઓ પ્રત્યેની એક મહત્વપૂર્ણ જવાબદારી પૂર્ણ કરવા જેવું હશે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા ખડગેએ મોદી દ્વારા લખવામાં આવેલા પત્ર પર તીખી પ્રતિક્રિયા આપી છે.