Last Updated on by Sampurna Samachar
ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં હવે કેરોસીનનું પણ થશે વિતરણ
દરેક તાલુકાના એક પેટ્રોલ પંપ પરથી મળશે કેરોસીન : પરિવાર દીઠ ૫ લિટર અને સંસ્થાઓને ૨૫ લિટર કેરોસીન અપાશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઈરાન યુદ્ધને કારણે સમગ્ર દેશમાં LPG ની અછત ઉભી થઈ છે. રાજ્ય સરકારે ગ્રામ્ય વિસ્તારોમાં ગેસ પુરવઠાના વિકલ્પ તરીકે કેરોસીનનું વિતરણ કરવાનો ર્નિણય લીધો છે. ત્યારે ગુજરાત રાજ્યમાં કેરોસીન ફાળવણી અને વિતરણ અંગેની જાહેરાત કરવામાં આવી છે.

ગુજરાત સરકાર દ્વારા કેન્દ્ર સરકારની સૂચનાનુસાર રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં LPG ઉપરાંત કેરોસીનના વિતરણની વધારાની વ્યવસ્થા કેરોસીન ડીલર એસોસિયેશન તથા ઓઇલ માર્કેટિંગ કંપનીઓ સાથે ગોઠવવામાં આવેલ છે.
દરેક તાલુકાના એક પેટ્રોલ પંપ પરથી કરવામાં આવશે
કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત રાજ્યને કુલ ૧૪૫૨ KL કેરોસીન ફાળવવામાં આવ્યું છે. ગુજરાત સરકાર દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં ૩૬ KL કેરોસીનની ફાળવણી કરવામાં આવી છે.
આ કેરોસીનનું વિતરણ ગ્રામીણ વિસ્તારોમાં કરવામાં આવશે જેમાં પરિવાર દીઠ ૫ લિટર તથા સંસ્થાઓ દીઠ ૨૫ લિટર વિતરણ કરવામાં આવશે. જે પૈકી મોટા પરિવારો તથા મોટી સંસ્થાઓને પ્રાથમિકતા આપવામાં આવશે.
આ કેરોસીનનો ઉપયોગ ફક્ત રાંધવા માટે તેમજ પ્રકાશની વ્યવસ્થા કરવા માટે કરી શકાશે. કેરોસીન ફાળવણી માટેની અરજીઓ સ્વીકારવા માટે NIC દ્વારા ખાસ ઓનલાઈન પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે.સ્ટોરેજ ડેપો: રાજ્યમાં કેરોસીન સંગ્રહ માટે બરોડા અને પાલનપુર ખાતે ૨ સ્ટોરેજ ડેપો નિયત કરવામાં આવ્યા છે.
વિતરણ કેન્દ્રો: દરેક તાલુકામાં એક પેટ્રોલપંપ પરથી કેરોસીન વિતરણની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.જિલ્લા સ્તરે ઓછામાં ઓછા ૧૨૦૦૦ લિટર કેરોસીનની (૧ ટેન્કર લોડ) ઓનલાઈન માંગણી મળેથી તાત્કાલિક કેરોસીનનું વિતરણ દરેક તાલુકાના એક પેટ્રોલ પંપ પરથી કરવામાં આવશે.
ભાવ નિર્ધારણ: ટ્રાન્સપોર્ટ તથા બીજા ખર્ચને ધ્યાનમાં લઈને કેરોસીનની ભાવ બાંધણી કરવામાં આવેલ છે. જે પ્રતિ લીટર ૬૧.૪૦ થી ૬૬.૧૪ વચ્ચે નિયત કરેલ છે.