Last Updated on by Sampurna Samachar
૩ દિગ્ગજોના રાજીનામાથી રાજકીય ગરમાવો
આસામના CM અને ગોગોઇના આરોપોથી રાજકારણ ગરમાયું
(સંપૂર્ણ સમાચાર સેવા)
પંજાબ અને આસામના રાજકારણમાં એકસાથે મોટા ઉથલપાથલના સમાચાર સામે આવ્યા છે. પંજાબમાં ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષે કેસરિયો છોડીને ઘરવાપસી કરી છે, તો બીજી તરફ આસામમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના બે દિગ્ગજ નેતાએ પંજાનો સાથ છોડી દીધો છે.

પંજાબમાં વર્ષ ૨૦૨૭માં યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપને મોટો ફટકો પડ્યો છે. ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ અને પૂર્વ ધારાસભ્ય અરવિંદ ખન્ના શિરોમણી અકાલી દળમાં સામેલ થઈ ગયા છે. પ્રમુખ સુખબીર સિંહ બાદલે સંગરૂર ખાતે ખન્નાના નિવાસ્થાને જઈને તેમને પક્ષમાં આવકાર્યા અને સંગરૂર વિધાનસભા ક્ષેત્રના પ્રભારી નિયુક્ત કર્યા છે.
આસામમાં આગામી થોડા મહિનાઓમાં જ ચૂંટણી યોજાશે
ખન્નાએ ૨૦૨૨માં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા, પરંતુ હવે તેમણે અકાલી દળમાં જોડાવવાને ‘ઘરવાપસી‘ ગણાવી છે. નોંધનીય છે કે, સંગરૂરના આપ ધારાસભ્ય નરિંદર કૌર ભરજે તાજેતરમાં ભાજપ પર ‘ઓપરેશન લોટસ‘ હેઠળ તેમને લાલચ આપવાનો આક્ષેપ કર્યો હતો, જોકે હરિયાણાના નાયબ સિંહ સૈનીએ આ આક્ષેપોનું ખંડન કર્યું છે.
આસામમાં આગામી થોડા મહિનાઓમાં જ ચૂંટણી યોજાવાની છે, તે પહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ પ્રદેશ પ્રમુખ રિપુન બોરાએ પક્ષના તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. બોરા ૨૦૦૧માં પહેલીવાર ધારાસભ્ય બન્યા હતા અને તરુણ ગોગોઈ સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે. તેઓ ૨૦૧૬ થી ૨૦૨૧ સુધી પ્રદેશ પ્રમુખ રહ્યા હતા અને રાજ્યસભાના સભ્ય પણ રહી ચૂક્યા છે.
રિપુન બોરા હવે ભાજપમાં જોડાય તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે. જ્યારે આસામના જ વધુ એક નેતા અને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ ભુપેન કુમાર બોરાએ પણ કોંગ્રેસમાંથી રાજીનામું ધરી દીધું છે. જોકે તેમણે પાર્ટી છોડવાનું કારણ જાહેર કર્યું નથી. આ દરમિયાન આસામના મુખ્યમંત્રી હિમંતા સરમાએ તેમને ભાજપમાં જોડાવા માટે આમંત્રણ આપી દીધું છે. બીજી તરફ, આસામના CM હિમંતા બિસ્વા સરમા અને કોંગ્રેસ નેતા ગૌરવ ગોગોઈ વચ્ચેના શાબ્દિક પ્રહારોએ રાજકારણ વધુ ગરમાવ્યું છે, જેમાં સરમાએ ગોગોઈ પરિવાર પર ગંભીર અંગત આક્ષેપો કર્યા છે.