સર્વત્ર ભાજપની જીતનો પોકાર સાંભળવા મળ્યો ભાજપનો કેસરિયો લહરાયો

Share this Article:

ઢોલ નગારા સાથે કાર્યકરોની પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની હાજરીમાં ઉજવણી

(સંપૂર્ણ સમાચાર સેવા)

સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીના પરિણામ આવી ગયા છે. જેમાં ભારતીય જનતા પાર્ટીએ જ્વલંત સફળતા પ્રાપ્ત કરી છે. લગભગ મોટાભાગની નગરપાલિકા, જૂનાગઢ મહાનગર પાલિકા તેમજ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની પેટા ચુંટણીમાં જીત મેળવી છે. આ ચુંટણીનું અંતિમ ચિત્ર આખરે સ્પષ્ટ થઈ ગયું છે.

જૂનાગઢ મહાનગર પાલિકા ભાજપે પોતાની પાસે રાખી છે. આ ઉપરાંત ૬૮ નગરપાલિકાઓ પૈકી ૬૨ ઉપર ભાજપનો ભગવો લહેરાયો છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પરિણામ બાદ ભાજપ દ્વારા પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ઉજવણી કરાઇ હતી.

મળતી વિગતો મુજબ ગાંધીનગર કમલમ ખાતે ભાજપનો વિજયોત્સવ યોજાયો હતો. ઢોલ નગારા સાથે કાર્યકરોની ઉજવણી કરી રહ્યા છે. આ સાથે કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલની હાજરીમાં ઉજવણી થઈ રહી હતી. આ સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ વિજયોત્સવમાં જોડાયા હતા.

કોંગ્રેસને માત્ર ૧ સલાયા નગરપાલિકાની જ બેઠક મળી છે. જ્યારે પોરબંદર જિલ્લાની કુતિયાણા, રાણાવાવમાં સપાની જીત અને આણંદ જિલ્લાની આંકલાવ નગરપાલિકામાં અપક્ષનો દબદબો જોવા મળ્યો હતો. જ્યારે કે, ડાકોર નગરપાલિકામાં ભાજપ અને અપક્ષ વચ્ચે ટાઈ થઈ છે. એટલે કે, નોંધનીય છે કે ૧૮૪૪ બેઠકમાંથી ૧૬૭ બેઠક બિન હરીફ થતા ૬૬ પાલિકાઓની ૧૬૭૭ બેઠક માટે મતદાન થયું હતું. જેમાં કૂલ ૧૬૭૭ બેઠકોમાંથી ૧૩૭૭ બેઠક ભાજપને ફાળે ગઇ છે.

આ સિવાય ગાંધીનગર, કપડવંજ અને કઠલાલ તાલુકા પંચાયતમાં પણ ભાજપની જીત થઈ છે. જોકે, દેવભૂમિ દ્વારકામાં ૨૮ બેઠકવાળી સલાયા નગરપાલિકાના ચૂંટણીમાં કોંગ્રેસે ફરી બાજી મારી છે. સલાયા નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે ૧૫ બેઠક પર જીત નોંધાવી છે, જ્યારે આમ આદમી પાર્ટીએ દમદાર પ્રદર્શન કરતાં ૧૩ સીટો પર જીતનો પરચમ લહેરાવ્યો છે. ત્યારે ભાજપ ખાતું ખોલાવી શકી ન હતી. મંત્રી મુળુભાઈ બેરાના વિસ્તારમાં ભાજપના સૂપડા સાફ થઇ ગયા છે. પરિણામો જાહેર થતાં સલાયા ભાજપમાં સન્નાટો છવાઇ ગયો છે. નોંધનીય છે કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ એકમાત્ર બેઠક હશે જ્યાં ભાજપનું ખાતું પણ ખોલાવી શકી નથી.

ભાવનગર જિલ્લાના તળાજામાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. અહીં રિકાઉન્ટિંગમાં પણ ભાજપ જીતી ગયો છે. જ્યારે ધ્રાંગધ્રા નગરપાલિકાના વોર્ડ નંબર ૧ પર યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપ ઉમેદવાર અમરાભાઇ હાડગડા જીતી ગયા છે. આ ઉપરાંત સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં વોર્ડ નંબર ૩ના અપક્ષ ઉમેદવાર રામજી પંડ્યાએ રિકાઉન્ટિંગની માંગ કરી છે. ભાજપ અને અપક્ષ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે. ત્યારે વોર્ડ નંબર ૩ માં ફક્ત ૩૦ મતોનું માર્જિન હોવાના કારણે રિકાઉન્ટિંગની માંગ કરવામાં આવી રહી છે.

જૂનાગઢના વંથલીમાં વોર્ડ નંબર ૪ માં ભાજપની પેનલ જીતી જતાં ભાજપનો વિજયરથ આગળ વધ્યો. આ સાથે ભાજપનો સ્કોર જૂનાગઢ મહાનગરપાલિકામાં ૨૭ પર પહોંચી ગયો છે જ્યારે ૧ બેઠક અપક્ષના હાથમાં છે અને કોંગ્રેસ હજુ ખાલી હાથ છે. વાંકાનેર નગરપાલિકાની વાત કરીએ તો ૧૧ બેઠકો પર ભાજપ બિનહરિફ રહ્યા બાદ હવે વધુ ચાર બેઠકો જીતી ગયો છે. વાંકાનેરમાં કુલ ૨૮ બેઠકો છે. જેમાં મોટાભાગની બેઠકો ભાજપને મળે તેવી શક્યતાને જોતાં સત્તામાં અહીં ભાજપ આવે તેવા સંકેત દેખાઈ રહ્યા છે.

આ ઉપરાંત જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો વિજયરથ યથાવત છે. હજુ સુધી કોંગ્રેસનું ખાતું ખુલ્યું નથી. જોકે અહીં એક મોટો અપસેટ થયો છે. જૂનાગઢ કોર્પોરેશનના પૂર્વ ડે. મેયર ગિરીશ કોટેચાનો પુત્ર પાર્થ કોટેચા અપક્ષ સામે હારી ગયો છે. હાલ મળતી માહિતી મુજબ અહીં ભાજપના ખાતામાં ૧૨ બેઠકો આવી ચૂકી છે. કુલ બેઠકો ૬૦ છે.

આ ઉપરાંત ચોરવાડમાં પણ મોટો ઉલટફેર થયો છે. જેમાં ગીર સોમનાથના વર્તમાન ધારાસભ્ય વિમલ ચુડાસમા ચોરવાડ નગરપાલિકાની ચૂંટણીમાં હારી ગયાનું જાણવા મળ્યું છે. બાવળા ન.પા.માં કોંગ્રેસના બે ઉમેદવાર જીત્યાં છે. જેમાં બાવળા નગરપાલિકાના વોર્ડ નંબર ૧ માં કોંગ્રેસના ૨ અને ભાજપના ૨ ઉમેદવારો જીત્યાં હતા. જ્યારે કે, સાણંદ નગરપાલિકામાં વોર્ડ નંબર-૧માં ભાજપની પેનલ જીતી છે. સાણંદ નગરપાલિકામાં વોર્ડ નંબર-૧માં ભાજપની પેનલનો વિજય થયો હતો. તે સિવાય માણસા નગરપાલિકાની વોર્ડ- નંબર ૧માં પણ ભાજપની પેનલ જીતી છે.

લુણાવાડા-બાલાસિનોરમાં ભાજપની વિજયી શરૂઆત થઈ છે. લુણાવાડા અને બાલાસિનોરમાં ભાજપની પેનલ આગળ છે. સંતરામપુરના વોર્ડ નંબર-૧માં ભાજપની પેનલ આગળ નીકળી ગઈ છે.  ખાનપુર-કનોડ તાલુકા પંચાયતમાં પંજો આગળ છે. ખાનપુર-કનોડ તાલુકા પંચાયતમાં કોંગ્રેસ આગળ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે ભાણવડની ૨૪ પૈકી ૮ બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર કરાયા હતા.  કુતિયાણા નગરપાલિકાના વોર્ડ-૧માં ભાજપની પેનલ જીતી ગઈ છે.

આ ઉપરાંત વલસાડમાં પણ ભગવો લહેરાયો છે. વલસાડ નગરપાલિકામાં વોર્ડ નંબર-૧માં ભાજપની પેનલ જીતી. જ્યારે જૂનાગઢના વંથલીમાં વોર્ડ નંબર-૧માં ભાજપના ચારેય ઉમેદવાર વિજયી થયા. હાલોલ નગરપાલિકામાં વોર્ડ નંબર-૧માં ભાજપની પેનલ જીતી ગઈ છે. સ્થાનિક એકમોની ચૂંટણીના અત્યાર સુધીના પરિણામો અનુસાર ખેડબ્રહ્માં વોર્ડ નંબર-૧માં ભાજપની પેનલ એટલે કે ચારેય ઉમેદવાર વિજયી બન્યા છે. જ્યારે હાલોલ નગરપાલિકામાં વોર્ડ નંબર-૧માં પણ ભગવો લહેરાયો છે.

હાલોલ નગરપાલિકાના વોર્ડ નંબર ૧માં ભાજપની જીત, સાણંદ નગરપાલિકાના વોર્ડ નંબર ૧માં ભાજપની જીત, જામજોધપુરના વોર્ડ નંબર ૧માં ભાજપની પેનલ જીતી, કોડીનારમાં ભાજપની પેનલ જીતી, સાબરકાંઠાના પ્રાંતિજમાં વોર્ડ નંબર ૧ માં ભાજપનો વિજય, માણસા નપાના વોર્ડ નંબર ૧ માં ભાજપનો વિજય, તલોદના વોર્ડ નંબર ૧ માં ભાજપનો વિજય, અમરેલીના ચાલાલામાં ભાજપની ૪ બેઠકો પર જીત સાથે ખાતું ખુલ્યું, ચોરવાડ નગરપાલિકામાં વોર્ડ નંબર ૧ પર ભાજપની જીત, તાપીના સોનગઢ વોર્ડ નંબર ૧માં ભાજપની પેનલ જીતી, ૨૮ બેઠકવાળી સોનગઢ નગર પાલિકામાં ૪ ઉમેદવારોની જીત સાથે ખાતું ખુલ્યું. જ્યારે કે, જૂનાગઢ મહાનગરપાલિકાની ૬૦ બેઠકોના પરિણામ આવવાનું શરૂ થયું છે. હાલમાં ભાજપ ૮ બેઠક પર આગળ છે ત્યારે કોંગ્રેસ અને અન્ય ૦ પર છે.

મહત્વનું છે કે, ગત ૧૬મી ફેબ્રુઆરીએ જુનાગઢ મહાનગરપાલિકા, રાજયની અલગ અલગ ૬૮ નગરપાલિકાઓ અને ૩ તાલુકા પંચાયતની ચુંટણી માટે  શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયા બાદ હવે આજે જનાદેશનો સૂર્યોદય થશે. આ ચુંટણીની સવારે ૯ વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ છે. મતદાનમાં સૌથી મોટી અને મહત્વપૂર્ણ બાબતે એ રહી છે કે રાજયમાં એક પણ સ્થળે અનિચ્છનીય બનાવ બન્યો ન હતો. એકપણ સ્થળે પુનઃ મતદાન કરવાની જરુરીયાત રહી નથી.

જુનાગઢ મહાપાલિકાની ચુંટણીમાં માત્ર ૪૪.૩૨ ટકા જ મતદાન થયું છે. જયારે અમદાવાદ મહાપાલિકાના વોર્ડ નં. ૭ની એક બેઠક, ભાવનગર મહાપાલિકાના વોર્ડ નં.૩ ના એક વોર્ડની પેટા ચુંટણી અને સુરત મહાપાલિકાના વોર્ડ નં. ૧૮ ની એક બેઠકની પેટા ચુંટણી માટે સરેરાશ ૩૧.૭૨ ટકા મતદાન થયું હતું.

આ ઉપરાંત ૬૬ નગરપાલિકાની સામાન્ય ચુંટણી માટે ૬૧.૬૫ ટકા જેવું નોંધપાત્ર મતદાન થયું હતું. જયારે બ નગરપાલિકાની મઘ્યસત્ર ચુંટણી માટે માત્ર ૩૫.૨૩ ટકા મતદાન થયું છે. અલગ અલગ નગરપાલિકાઓમાં પસંગોપાત ખાલી પડેલી ૧૯ બેઠકો  માટે ૩૭.૮૫ ટકા જેટલું મતદાન થયું છે. જિલ્લા પંચાયતોની આઠ બેઠકો માટેની પેટા ચુંટણીમાં ૪૩.૬૭ ટકા જેટલું મતદાન થયું છે. જયારે તાલુકા પંચાયતની ૭૬ બેઠકો માટેની પેટા ચુંટણીમાં ૫૭.૦૧ ટકા મતદાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.

જ્યારે કે, ગાંધીનગર તાલુકા પંચાયતની સામાન્ય ચુંટણીમાં ૬૪.૧૭ ટકા, ખેડા જિલ્લાની કપડવંજ તાલુકા પંચાયતની સામાન્ય ચુંટણી માટે ૬૫.૩૦ ટકા અને કઠલાલ તાલુકા પંચાયત માટે ૬૫.૦૭ ટકા મતદાન થયું છે. રાજય ચુંટણી આયોગના સચિવ જી.સી. બ્રહ્મભટ્ટના જણાવ્યાનુસાર મતદાન એકંદરે શાંતિપૂર્ણ સંપન્ન થયું છે કોઇ અનિચ્છીય બનાવ બન્યો નથી. કોઇપણ મતદાન મથક પર પુનઃ મતદાન કરવાની જરુરત પડી નથી.

 

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.