Last Updated on by Sampurna Samachar
મૃતકના ભાઇએ ક્લિનિકલ ટ્રાયલ બાદ મોત થતાં કંપનીને જવાબદાર ઠેરવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
બેંગલુરુમાં ૩૩ વર્ષીય વ્યક્તિ તેના ભાઈના ઘરે મૃત હાલતમાં મળી આવતા ઘટનાથી ચકચાર મચી જવા પામી હતી. પોલીસે ભાઈની ફરિયાદ પર કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. ભાઈનો આરોપ છે કે તેના ભાઈએ એક કંપનીના ક્લિનિકલ ટ્રાયલ્સમાં ભાગ લીધો હતો. આ પરીક્ષણમાં ભાગ લીધા પછી જ તેમની તબિયત બગડી હતી. આમ ભાઈએ મૃત્યુ માટે ક્લિનિકલ ટ્રાયલને જવાબદાર ઠેરવ્યું છે.
પોલીસે મૃતક યુવકની ઓળખ નાગેશ વીરાન્ના તરીકે કરી છે. ૨૨ જાન્યુઆરીએ તેના ભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. નાગેશ જલાહલ્લીમાં તેના ભાઈના ઘરે મૃત હાલતમાં મળી આવ્યો હતો. ભાઈ રેવન્ના સિદ્ધપ્પાએ જણાવ્યું હતું કે ક્લિનિકલ ટ્રાયલ દરમિયાન આપવામાં આવેલી ઘણી દવાઓની આડઅસરને કારણે તેમના ભાઈનું મૃત્યુ થયું હતું.
જલાહલ્લી પોલીસ સ્ટેશનના એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, અમે ભારતીય દંડ સંહિતાની કલમ ૧૯૪ (૩) હેઠળ અકુદરતી મૃત્યુ તરીકે ફરિયાદ નોંધી છે. આ કેસની તપાસ ચાલી રહી છે. ભાઈ સિદ્ધપ્પાના જણાવ્યા મુજબ, ક્લિનિકલ ટ્રાયલમાં ભાગ લેતા પહેલા તેમના ભાઈ નાગેશ વીરન્ના ને કોઈ સ્વાસ્થ્ય સમસ્યા નહોતી.
પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, ગયા વર્ષે ડિસેમ્બરમાં, નાગેશ વીરન્ના સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે એક ખાનગી હોસ્પિટલમાં દાખલ થયા હતા, જ્યારે કંપનીએ તેમનો સંપર્ક કર્યો અને ટ્રાયલના ભાગ રૂપે તેમને ગોળીઓ અને ઇન્જેક્શન આપવાની ઓફર કરી.
ફરિયાદ મુજબ, ૨૧ જાન્યુઆરીની રાત્રે બંને ભાઈઓએ સાથે રાત્રિભોજન કર્યું હતું. આ પછી બંને સૂઈ ગયા. પણ સવારે જ્યારે ભાઈ સિદ્ધપ્પાએ નાગેશને જગાડવાનો પ્રયાસ કર્યો, ત્યારે તે જાગ્યો નહીં. સિદ્ધપ્પાએ તરત જ આર એન્ડ ડી કંપનીના ડૉક્ટરનો સંપર્ક કર્યો અને તેમને આ બાબતની જાણ કરી. આ પછી ડૉક્ટરે નાગેશને એ જ હોસ્પિટલમાં દાખલ કરવાનું કહ્યું જ્યાં તેની અગાઉ સારવાર થઈ હતી. પરંતુ ત્યાં પહોંચતા જ ડોક્ટરોએ નાગેશને મૃત જાહેર કર્યો. હવે ભાઈની ફરિયાદ પર, બેંગલુરુ પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.