Last Updated on by Sampurna Samachar
૮૦ સુરક્ષા કર્મચારીઓ, ૩૧ નાગરિકો અને ૧૭૭ બળવાખોરોના મોત
બલૂચિસ્તાન બળવાખોરો સામે પાકિસ્તાની સેના હારી ગઈ
(સંપૂર્ણ સમાચાર સેવા)
બલૂચિસ્તાનમાં ઘણા દિવસોથી હિંસા ચાલી રહી છે. બલૂચ બળવાખોરોએ પ્રાંતના અનેક શહેરો પર કબજો કરવાની સાથે પાકિસ્તાની સેનાની કમર તોડી નાખી છે. હિંસામાં ૮૦ સુરક્ષા કર્મચારીઓ, ૩૧ નાગરિકો અને ૧૭૭ બળવાખોરોના મોત થયા હોવાનો દાવો કરાયો છે, ત્યારે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીએ હિંસા મામલે પોતાની જ સેનાની ફજેતી કરી છે. આસિફના નિવેદન પરથી લાગી રહ્યું છે કે, બલૂચિસ્તાન બળાખોરો સામે પાકિસ્તાની સેના હારી ગઈ છે.

પાકિસ્તાની સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે નેશનલ એસેમ્બલીમાં ભાષણ આપતી વખતે પાકિસ્તાની સેનાની આકરા શબ્દોમાં ટીકા કરી છે. એટલું જ નહીં તેમણે બલૂચિસ્તાન મામલે ભારત પર પણ નિશાન સાધ્યું છે. આસિફે સ્વિકાર કર્યો છે કે, પાકિસ્તાની સુરક્ષા દળ બળવાખોરો સામે અસહાય અનુભવી રહી છે. ઉલ્લેખનીય છે કે, બલૂચિસ્તાનમાં ઘણા સમયથી હિંસાઓ ચાલી રહી છે.
બલૂચિસ્તાન બળવાખોરોનું જૂથ બીએલએ આતંકવાદી જૂથ છે
બલૂચ લિબરેશન આર્મીએ ‘ઓપરેશન હેરોફ ૨.૦’ની શરૂઆત કરીને પ્રાંતના ક્કેટા, ગ્વાદર, મસ્તુંગ અને નુશ્કી સહિત અનેક જિલ્લાઓ પર ભયાનક હુમલા કર્યા છે. હુમલામાં ૮૦ સુરક્ષા કર્મચારીઓના મોત થયા હોવાના અને ૩૦થી વધુ સરકારી સંપત્તિઓ નષ્ટ થઈ હોવાના અહેવાલો સામે આવ્યા છે.
સત્તાવાર આંકડા મુજબ હિંસામાં ૩૧ નાગરિકો અને ૧૭ સુરક્ષા કર્મચારીઓના મોત થયા છે. જ્યારે પાકિસ્તાની સેનાએ જવાબી કાર્યવાહી કરીને પ્રાંતભરમાં ૧૭૭ બળવાખોરોને મારી નાખ્યા હોવાનો દાવો કરાયો છે.
સંરક્ષણ મંત્રીએ પાકિસ્તાની સેના અનેક પડકારોનો સામનો કરી રહી હોવાની પણ પોલ ખોલી છે. તેમણે કહ્યું કે, ભૌગોલિક રીતે બલૂચિસ્તાનો ૪૦ ટકા ભાગ પાકિસ્તાનનો છે. તેથી આટલી મોટી જમીન પર સુરક્ષા કરવી અને પેટ્રોલિંગ કરવું તે પાકિસ્તાની સેના માટે મોટો પડકાર છે. ગીચ વસ્તીવાળા શહેરની તુલનાએ આટલા મોટા અને ઓછી વસ્તીવાળા પ્રાંતને નિયંત્રણમાં લેવા માટે ભારે સૈન્ય તહેનાત કરવાની જરૂર છે.
આસિફે એમ પણ કહ્યું છે કે, ‘બલૂચિસ્તાન બળવાખોરોનું જૂથ બીએલએ આતંકવાદી જૂથ છે. અમે તેમની સાથે કોઈપણ વાતચીત કરવા માટે તૈયાર નથી. આ આતંકી જૂથ સાથે સ્થાનીક લોકો, આદિવાસી વૃદ્ધો અને ગુનેગારો મળેલા છે. બીએલએ તેલની તસ્કરી કરતા લોકોને પણ મદદ કરે છે, જેના કારણે તસ્કરો દૈનિક લગભગ ચાર અબજ પાકિસ્તાની રૂપિયાની કમાણી કરતા હતા.’
પાકિસ્તાની સંરક્ષણ મંત્રી દર વખતની જેમ ફરી ભારત પર નિશાન સાધ્યું છે. તેણે કહ્યું છે કે, ‘ભારત બલૂચિસ્તાનના બળવાખોરોને સમર્થન આપી રહ્યું છે. તેનું નેતૃત્વ અફઘાનિસ્તાનની ધરતી પરથી સંચાલન થઈ રહ્યું છે.’ જોકે આસિફે આ મામલે કોઈપણ ચોક્કસ પુરાવા રજૂ કર્યા નથી.