Last Updated on by Sampurna Samachar
પહલગામ હુમલા બાદ શેર કરી પોસ્ટ
અરજદાર સીનિયર સિટિઝન
(સંપૂર્ણ સમાચાર સેવા)
ફેસબુક પર ‘પાકિસ્તાન જિંદાબાદ‘ની પોસ્ટ શેર કરનારા ૬૨ વર્ષીય આરોપી અંસાર અહેમદ સિદ્દકીની જામીન અરજી કોર્ટે નકારી દીધી છે. આ સાથે જ કોર્ટે કહ્યું કે, રાષ્ટ્ર વિરોધી મામલા પ્રત્યે ન્યાયપાલિકાની સહનશીલતાથી આ પ્રકારના મામલા વધી રહ્યા છે. અંસાર અહેમદને જામીન આપવાનો ઇન્કાર કરતાં જસ્ટિસ સિદ્ધાર્થે કહ્યું કે, દેશમાં આ પ્રકારના ગુનાઓ સામાન્ય બની ગયા છે.

અલ્હાબાદ હાઇકોર્ટે આ વિશે વધુમાં કહ્યું કે, ‘અરજદારના આ કૃત્યથી સ્પષ્ટ રૂપે બંધારણનું અપમાન છે. ભારત વિરોધી પોસ્ટ શેર કરવી દેશની સંપ્રભુતાને પડકાર આપવો અને દેશની અખંડતાને ખરાબ રીતે પ્રભાવિત કરનારું છે. અરજદાર સીનિયર સિટિઝન છે.
નીચલી કોર્ટમાં કેસની સુનાવણી જલ્દી કરવા નિર્દેશ
તેમની ઉંમર જણાવે છે કે, તે સ્વતંત્ર ભારતમાં જન્મ્યા છે. તેમ છતાં તેમનું આ બેજવાબદારી પૂર્વકનું વર્તન અને રાષ્ટ્ર વિરોધી આચરણ તેમને બંધારણના અનુચ્છેદ ૨૧ હેઠળ સ્વતંત્રતાના અધિકારને સંરક્ષણ પાત્ર નથી બનાવતા. જોકે, જામીન અરજી નકારવાની સાથે જ કોર્ટે એવો પણ નિર્દેશ કર્યો કે, અરજદારની સામે નીચલી કોર્ટમાં કેસની સુનાવણી જલ્દીમાં જલ્દી કરવામાં આવે.
ઉત્તર પ્રદેશના બુલંદશહેરના છતરી વિસ્તારમાં અંસાર અહેમદ સિદ્દીકી સામે બીએનએસની કલમ ૧૯૭ (રાષ્ટ્રીય એકતાને કમજોર કરનારું કૃત્ય), ૧૫૨ (ભારતની સંપ્રભુતા, એકતા અને અખંડિતાને જાેખમમાં મૂકવાનું કૃત્ય) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ મામલે સુનાવણી દરમિયાન, અંસાર અહેમદના વકીલની દલીલ હતી કે, ત્રીજી મે, ૨૦૨૫ના દિવસે અરજદારે ફેસબુક પર ફક્ત વીડિયો શેર કર્યો હતો. તે સિનિયર સિટિઝન છે અને તેમની સારવાર ચાલી રહી છે.
જોકે, સરકારી વકીલે અંસાર અહેમદ સિદ્દકીની જામીન અરજીનો વિરોધ કરતાં કહ્યું કે, અજદારનું આચરણ દેશ હિતની વિરોધમાં છે. તે જામીન પર મુક્ત થવાને લાયક નથી. સરકારી વકીલે પણ કહ્યું કે, આ વીડિયો પહલગામામાં આંતકવાદી દ્વારા ૨૬ લોકોની હત્યા બાદ પોસ્ટ કરવામાં આવ્યો હતો. જેના પરથી સ્પષ્ટરૂપે સાબિત થાય છે કે, અરજદારે ધાર્મિક આધારે આતંકવાદીઓના કૃત્યનું સમર્થન કર્યું છે. બંને પક્ષોની સુનાવણી બાદ હાઇકોર્ટે ૨૬ જૂને પોતાના આદેશમાં કહ્યું કે, ભારતના દરેક નાગરિકનું એ કર્તવ્ય છે કે, તે બંધારણનું પાલન કરે. ભારતની સંપ્રભુતા, એકતા અને અખંડિતતાનું સન્માન કરે.