Last Updated on by Sampurna Samachar
2 અજાણ્યા શખ્સોએ હાથ પગ તોડી નાખ્યા
સમાધાન કરાવ્યા બાદ ફરી તકરાર
(સંપૂર્ણ સમાચાર સેવા)
જામનગરમાં એક ગંભીર અને ચોંકાવી દે તેવી ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, જામનગર નજીક આવેલા મોટી ભલસાણ ગામના રહેવાસી અને જાણીતા સામાજિક કાર્યકર ગોવિંદભાઈ હીરાભાઈ ગેડા કોઈ કામસર બહાર નીકળ્યા હતા. તે દરમિયાન અચાનક બે અજાણ્યા શખ્સોએ તેમના પર હુમલો કરી દીધો હતો.

આ અજાણ્યા હુમલાખોરોએ લોખંડના પાઇપ અને ધોકાનો ઉપયોગ કરીને ગોવિંદભાઈ પર બેરહેમીથી પ્રહાર કર્યા હતા, જેના કારણે તેમના હાથ અને પગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. હુમલામાં તેમને ફ્રેક્ચર સહિતની અનેક નાની-મોટી ઇજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું છે.
ગોવિંદભાઈ પર હુમલો કરી આરોપીઓ ફરાર
આ બનાવની જાણ થતા સીટી એ. ડિવિઝનના PSI જી.જી. હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને ગોવિંદભાઈની ફરિયાદના આધારે બે અજ્ઞાત હુમલાખોરો સામે ગુનો નોંધ્યો છે, અને તે બંનેની શોધખોળ હાથ ધરી છે.ફરિયાદી ગોવિંદભાઈ કે જેઓની કૌટુંબિક કાકાની દીકરીના લગ્ન જામનગરમાં હર્ષદ મિલની ચાલી પાસે રહેતા દિલીપભાઈ ધ્રુવ સાથે થયા હતા, અને બંને વચ્ચે વિખવાદ થતાં ફરિયાદી ગોવિંદભાઈએ જ્ઞાતિના સામાજિક કાર્યમાં આગળ રહી સમાધાનની ભૂમિકાઓ અપનાવી છે, તે મુજબ સમાધાન કરાવી લાવ્યા હતા. પરંતુ ફરીથી તકરાર થઈ હતી.
જે બાબતે ડીસાના એક પોલીસ અધિકારી સાથે પણ ગોવિંદભાઈને બોલાચાલી થઈ હતી, અને તે મુજબની પંચકોશી એ. ડિવિઝન પોલીસ મથકમાં અરજી કરવામાં આવી હતી, જોકે તે અરજીમાં સમાધાન કરી લેવાયું હતું, ત્યારબાદ બપોર દરમિયાન તેઓ પરત જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં બે અજાણ્યા શખ્સોએ તેમના પર હુમલો કર્યાનું ફરિયાદમાં નોંધાયું છે.