Last Updated on by Sampurna Samachar
પૂર્વ સૈનિકોને કેન્દ્ર સરકારની દિવાળી ભેટ
સંરક્ષણ મંત્રાલયે આપી માહિતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કેન્દ્રીય સૈનિક બોર્ડ દ્વારા અમલમાં મૂકવામાં આવતી યોજનાઓ હેઠળ પૂર્વ સૈનિકો અને તેમના આશ્રિતોને અપાતી નાણાકીય સહાયમાં ૧૦૦% વધારો કરવાને મંજૂરી આપી છે. આ વધારાના ર્નિણયથી આશ્રિતોને શિક્ષણ, લગ્ન અને ગરીબી અનુદાન માટે મળતી નાણાકીય સહાયની રકમ બમણી થઈ જશે. આ સુધારેલા દરો આવતા મહિનાની ૧લી નવેમ્બરથી અસરકારક બનશે.
સંરક્ષણ મંત્રાલયે આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, આ યોજનાઓનું અમલ કેન્દ્રીય સૈનિક બોર્ડ દ્વારા પૂર્વ સૈનિક કલ્યાણ વિભાગ મારફતે કરવામાં આવે છે. નાણાકીય સહાયમાં કરવામાં આવેલા મુખ્ય વધારા અંતર્ગત, નિધનતા અનુદાનની રકમ રૂ.૪,૦૦૦ પ્રતિ માસથી વધારીને પ્રતિ લાભાર્થી રૂ.૮,૦૦૦ પ્રતિ માસ કરવામાં આવી છે. આ સહાય એવા પૂર્વ સૈનિકોના આશ્રિતો અને વિધવાઓને આજીવન મળશે જેઓ ૬૫ વર્ષથી વધુ વયના છે, નિયમિત આવક ધરાવતા નથી અને બિન-પેન્શનભોગી છે.
રૂ. ૨૫૭ કરોડનો વધારાનો નાણાકીય બોજ ઊભો થશે
શિક્ષણ અનુદાનની વાત કરીએ તો, આ શ્રેણીમાં બે આશ્રિત બાળકો (જેઓ ધોરણ ૧થી સ્નાતક સુધી અભ્યાસ કરી રહ્યા હોય) અથવા બે વર્ષના પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસમાં જોડાયેલી વિધવાઓ માટે શિક્ષણ અનુદાનની રકમ રૂ.૧,૦૦૦થી વધારીને રૂ.૨,૦૦૦ પ્રતિ વ્યક્તિ દર મહિને કરવામાં આવી છે.
સરકાર દ્વારા લગ્ન અનુદાનની રકમમાં પણ વધારો કરવામાં આવ્યો છે. આ રકમને રૂ.૫૦,૦૦૦થી વધારીને પ્રતિ લાભાર્થી રૂ.૧,૦૦,૦૦૦ કરી દેવામાં આવી છે. સંરક્ષણ મંત્રાલય અનુસાર, આ અનુદાન વધુમાં વધુ બે પુત્રીઓના લગ્ન અથવા વિધવાના પુન:લગ્ન માટે માન્ય ગણાશે. જોકે, તેના માટેની શરત એ છે કે લગ્ન આ આદેશ જારી થયા બાદ જ સંપન્ન થયેલા હોવા જોઈએ.
સંરક્ષણ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે ૧ નવેમ્બર, ૨૦૨૫ પછી પ્રાપ્ત થનારી અરજીઓ પર જ આ મંજૂર કરાયેલા નવા દર લાગુ થશે. આ ર્નિણયના કારણે દર વર્ષે આશરે રૂ. ૨૫૭ કરોડનો વધારાનો નાણાકીય બોજ ઊભો થશે, જેની પૂર્તિ આર્મ્ડ ફોર્સીસ ફ્લેગ ડે ફંડ માંથી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ તમામ યોજનાઓ રક્ષા મંત્રી પૂર્વ સૈનિક કલ્યાણ કોષ હેઠળ સંચાલિત થાય છે, જે પોતે જ આર્મ્ડ ફોર્સીસ ફ્લેગ ડે ફંડનું એક પેટા ફંડ છે.