Last Updated on by Sampurna Samachar
હિન્દુ સંગઠનોના આગેવાનોએ રેલી કાઢી આપ્યું આવેદનપત્ર
(સંપૂર્ણ સમાચાર સેવા)
આણંદ શહેરમાં અશાંત ધારાની આગામી ૧૦ વર્ષ માટે મુદ્દત વધારવાની માંગ સાથે જુદા જુદા સંગઠનો દ્વારા રેલી કાઢી વિરોધ પ્રદર્શન કરી ક્લેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું. આણંદ શહેરમાં વિવિઘ વિસ્તારોમાં લાગુ કરવામાં આવેલા અશાંત ધારાની મુદ્દત આગામી ૩૧ મી ડિસેમ્બરના રોજ પૂર્ણ થતી હોઇ શ્રી રામજન્મોત્સવ સમિતિ, હિંદુ જાગૃતી અભિયાન સમિતી અને જયશ્રી નાકાવાળા હનુમાનજી મંદિર સેવા ટ્રસ્ટના આગેવાનોએ આણંદ શહેરમાં મહારાણા પ્રતાપ સર્કલથી રેલી કાઢી કલેકટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યા બાદ કલેકટરને આવેદન પત્ર આપી લેન્ડ જેહાદ અટકાવવા માટે અશાંત ધારાની મુદ્દત લંબાવવા માટેની માંગ કરી હતી.
હિન્દુ સંગઠનોના આગેવાનોએ કલેકટર પ્રવિણ ચૌધરીને આવેદન પત્ર આપતા કહ્યુ હતુ કે આણંદ શહેરમાં વધી રહેલા અતિક્રમણ,લેન્ડ જેહાદ જેવી ગંભીર અને ખૂબ મોટી સમસ્યા છે અને જેના કારણે શહેરમાં રહેતો બહુમતી ધરાવતો હિન્દુ સમાજ પ્રતાડિત છે અને આ ગંભીર સમસ્યા ની આંશિક રાહત માટે રાજ્ય સરકાર દ્વારા આણંદ શહેરમાં અશાત વિસ્તાર ધારા નો કાયદો અમલમાં મૂક્યો હતો જેના કારણે શહેરમાં શાંતિ નો માહોલ જળવાઈ રહેલ છે પરંતુ આગામી ૩૧ ડિસેમ્બરના રોજ અશાંત વિસ્તાર ધારાની સમય અવધિ પૂર્ણ થાય છે જેથી હાલના સમયની જરૂરિયાતને ધ્યાનમાં રાખી તત્કાલ ધોરણે આ સમય મર્યાદા ૧૦ વર્ષ સુધી વધારવામાં કરવાની માંગ કરવામાં આવી હતી.
હિંદુ સંગઠનો દ્વારા આણંદ શહેરના સલાટિયા વિસ્તાર સામરખા ગામ અન્ય બીજા વિસ્તારો જ્યાં વિધર્મીઓનું અતિક્રમણ અને લેન્ડ જેહાદ વધી રહ્યા છે તે બધાજ વિસ્તારોને અશાંત ધારા હેઠળ આવરી લેવામાં આવે તેવી સમગ્ર હિન્દુ સમાજની માંગ છે સાથે સાથે ૩૧ ડિસેમ્બરથી જ્યાં સુધી અશાંત વિસ્તાર ધારાની નવી જોગવાઈ કરવામાં ન આવે અને અશાંત વિસ્તાર ધારો કરીથી લાગુ કરવામાં ન આવે એ સમયગાળા દરમ્યાન જે કોઈ પણ દસ્તાવેજ અને જમીન વેચવાના કાગળો તૈયાર કરવામાં આવે તેને અશાંત ધારા હેઠળ જ પરવાનગી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
હિંદુ સંગઠનના આગેવાનોએ કહ્યુ હતું કે જો અશાંત ધારો ફરીથી લાગુ કરવામાં નહીં આવે તો હિન્દુ સમાજે ભૂતકાળમાં ખૂબ મોટા પ્રમાણમાં પલાયન કરવું પડયું હતું એવી જ પરિસ્થિતિનું ફરીથી નિર્માણ થશે અને ફરીથી હિન્દુ સમાજને મજબૂરીમાં ખૂબ મોટી સંખ્યામાં પોતાના ઘર અને માલ મિલકત છોડીને પલાયન કરવું પડશે જેથી તત્કાલ ધોરણે અશાંત વિસ્તાર ધારાને અમલમાં મુકવા માંગ કરી હતી અને જો એવું ન થાય તો સમગ્ર હિન્દુ સમાજે ભવિષ્યમાં મજબૂર થઈ વ્યાપક સ્વરૂપમાં ઉગ્ર આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી હતી