Last Updated on by Sampurna Samachar
અમદાવાદનાં સિવિલ હોસ્પિટલને 29મુ ત્વચાનું દાન મળ્યું
અંગદાનની જાગૃતિ ફેલાવતો કિસ્સો
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદના શાહપુર વિસ્તારમાં રહેતા ૫૧ વર્ષીય મનોજકુમાર ના મૃત્યુ પછી તેમનું ત્વચા અને ચક્ષુદાન કરી પરિવારે માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું. વાત કરીએ તો મનોજભાઈ જશવંતસિંહ ચૌહાણના અવસાનથી તેમનો પરિવાર ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયો હતો, પરંતુ આ દુઃખદ ક્ષણોમાં પણ પરિવારે શ્રેષ્ઠ નિર્ણય લીધો.

પ્રાપ્ત વિગતો અનુસાર મનોજભાઈને અચાનક હૃદયરોગનો હુમલો આવતા ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. સ્વજન ગુમાવ્યાના આઘાત વચ્ચે પણ તેમના કાકાના દીકરા હર્ષ શાહ અને અન્ય પરિવારજનોએ મનોજભાઈના ત્વચાદાન અને ચક્ષુદાન કરવાનો ઉમદા ર્નિણય લીધો હતો.
નેત્રદાન તેમજ ત્વચાનું દાન કરી ઉદાહરણ પૂરું પાડ્યું
આ ર્નિણય અંતર્ગત સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે મનોજભાઈની બે આંખો અને તેમની ત્વચાનું દાન કરવામાં આવ્યું હતું. સિવિલ હોસ્પિટલના પ્લાસ્ટિક સર્જરી વિભાગના તબીબોની ટીમે મનોજભાઈના બરડાના ભાગેથી ત્વચા મેળવી હતી.સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોષીએ આ સેવાકાર્યની વિગતો આપતા જણાવ્યું કે, હોસ્પિટલમાં સ્કીન બેંક શરૂ થયા બાદ અત્યાર સુધીમાં આ ૨૯મું સ્કીન ડોનેશન છે.
મનોજભાઈના પરિવારે આપેલી બે આંખોના દાન સાથે સિવિલ હોસ્પિટલને અત્યાર સુધીમાં કુલ ૧૬૨ આંખોનું દાન મળ્યું છે. આમ, સિવિલ હોસ્પિટલને અત્યાર સુધીમાં કુલ ૧૯૧ જેટલી પેશીઓનું દાન પ્રાપ્ત થયું છે, જે સમાજમાં અંગદાન પ્રત્યે વધી રહેલી જનજાગૃતિ દર્શાવે છે. ડો. જોષીએ વધુમાં નાગરિકોને અનુરોધ કરતા જણાવ્યું હતું કે દર્દીના મૃત્યુના ૬ કલાકમાં આંખો અને ત્વચાનું દાન થઈ શકે છે. અમારી ટીમ અમદાવાદ તથા ગાંધીનગરમાં ઘરે આવીને પણ આ દાન સ્વીકારે છે.
પ્લાસ્ટિક સર્જરી વિભાગના વડાના જણાવ્યા અનુસાર, ગંભીર રીતે દાઝી ગયેલા દર્દીઓ માટે સ્કીન ગ્રાફ્ટિંગ આશીર્વાદરૂપ સાબિત થાય છે અને તેનાથી સારવારમાં ખૂબ જ સારા પરિણામો મેળવી શકાય છે. મનોજભાઈના પરિવારે લીધેલા આ ર્નિણયથી કોઈકની અંધારી દુનિયામાં પ્રકાશ રેલાશે તો કોઈક દાઝી ગયેલા દર્દીને નવું જીવન મળશે.
સમાજમાં અંગદાન અને પેશીદાનનો મહિમા વધે તે માટે સિવિલ હોસ્પિટલ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવે છે અને કોઈ પણ વ્યક્તિ સ્કીન દાન માટે સ્કીન બેંકના હેલ્પલાઇન નંબર ૯૪૨૮૨૬૫૮૭૫ પર સંપર્ક કરી આ પુણ્યશાળી કાર્યમાં સહભાગી બની શકે છે.