Last Updated on by Sampurna Samachar
દુકાન કે ફેક્ટરી સીલ તેમજ પેનલ્ટી સુધીની કાર્યવાહી
શાકભાજી માર્કેટમાં પ્લાસ્ટિકના વપરાશ પર દંડ થશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદમાં પર્યાવરણની જાળવણી અને ગુજરાત હાઈકોર્ટના આદેશોનું પાલન કરવા માટે AMC ની હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટી દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશ અને ઉત્પાદન વિરુદ્ધ કડક ઝુંબેશની જાહેરાત કરવામાં આવી છે.હવે માત્ર ફેરિયાઓ જ નહીં પરંતુ ઉત્પાદકો અને મોટા વેપારીઓ સામે પણ આકરી કાર્યવાહી થશે.

હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીના ચેરમેન જશુ ઠાકોરના જણાવ્યા મુજબ, ‘ગુજરાત હાઈકોર્ટ દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક અંગે જે સૂચનો આપવામાં આવ્યા છે, તેને ધ્યાનમાં રાખીને અમે ફેરિયાઓ અને શાકભાજી માર્કેટમાં પ્લાસ્ટિકના વપરાશ પર કડક કાર્યવાહી કરવાનું નક્કી કર્યું છે. જે અંતર્ગત ફેરિયાઓ પાસે પ્રથમ વખત પ્રતિબંધિત પ્લાસ્ટિક પકડાશે તો ૧૦૦૦ રૂપિયા, બીજી વખત ૩૦૦૦ રૂપિયા અને ત્રીજી વખત પકડાય તો ૫૦૦૦ રૂપિયાનો દંડ કરવામાં આવશે.
કંપનીઓ કે ફેક્ટરીઓ આવું પ્લાસ્ટિક બનાવતી પકડાશે, તેને ૧૫ દિવસ માટે સીલ
આ ઉપરાંત, અમે નિયમોમાં એક મોટો સુધારો કરવા જઈ રહ્યા છીએ કે અમદાવાદ મહાનગરપાલિકાની હદમાં જે પણ કંપનીઓ કે ફેક્ટરીઓ આવું પ્લાસ્ટિક બનાવતી પકડાશે, તેને ૧૫ દિવસ માટે સીલ કરવામાં આવશે. તે જ રીતે, જો કોઈ રીટેલ વેપારી ૧૦૦ કિલોથી વધુ પ્રતિબંધિત પ્લાસ્ટિકના જથ્થા સાથે પકડાશે, તો તેની દુકાન પણ ૧૦ દિવસ માટે સીલ કરવામાં આવશે અને નિયમ અનુસાર પેનલ્ટી વસૂલવામાં આવશે‘
તમામ ફેરિયાઓ અને ધંધાર્થીઓને પ્લાસ્ટીક વેસ્ટ રૂલ્સ – ૨૦૧૬ મુજબ ૧૨૦ માઈક્રોનથી ઓછી જાડાઈની પ્લાસ્ટીકની થેલીઓ કે ૬૦ ગ્રામ પર સ્કવેર મીટરથી ઓછી જાડાઈની નોન-વુવન કેરી બેગના ઉપયોગ પર સંપૂર્ણપણે પ્રતિબંધ છે.‘
પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગ માટે ફેરિયા-વેપારીને કેટલો દંડ?
-પ્રથમ વખત નિયમ ભંગ: ૧ હજાર રૂપિયા
-બીજી વખત નિયમ ભંગ: ૩ હજાર રૂપિયા
-ત્રીજી વખત નિયમ ભંગ: ૫ હજાર રૂપિયા
ફેક્ટરી ૧૫ દિવસ સુધી લાગશે તાળાં
-કોઈ ફેક્ટરી શહેરમાંથી ઝડપાય તો તે ૧૫ દિવસ સુધી સીલ તથા નિયમ મુજબ પેનલ્ટી
-કોઈ દુકાનદાર કે હોલસેલ વેપારી પાસેથી ૧૦૦ કિલોથી વધુ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો ઝડપાશે તો દસ દિવસ સુધી દુકાન અથવા ગોડાઉન સીલ તથા નિયમ મુજબ પેનલ્ટી
હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ચેરમેને જણાવ્યું હતું કે, ‘સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ હોવાથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દરેક નાગરિકો કોઈપણ ચીજ વસ્તુ લેવા જાય ત્યારે ઘરેથી કાપડની થેલી સાથે લઈને જાય તેના માટે ૧૬ લાખથી વધુ કાપડની થેલીઓનું વિતરણ શહેરીજનોને કરવામાં આવ્યું છે બે વર્ષ પહેલાં પણ કાપડની થેલીઓનું વિતરણ કરવામાં આવ્યું છે.