Last Updated on by Sampurna Samachar
૨૦ જૂનથી ૫ મેચની ટેસ્ટ સીરિઝમાં થઇ શકે સામેલ
છેલ્લા કેટલાક સમયથી ટીમમાંથી હતો બહાર
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતીય ક્રિકેટ ટીમ આવતા મહિને ઈંગ્લેન્ડના પ્રવાસ પર જશે, જ્યાં ૨૦ જૂનથી ૫ મેચની ટેસ્ટ સીરિઝ રમવાની છે. આ સીરિઝ પહેલા રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા બે દિગ્ગજ ખેલાડીઓએ સંન્યાસની જાહેરાત કરી દીધી છે.
બીજી તરફ થોડા સમય પહેલા અશ્વિને પણ ટેસ્ટને અલવિદા કહી દીધું હતું. આ વચ્ચે સમાચાર આવ્યા છે કે ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુર જે છેલ્લા કેટલાક સમયથી ભારતીય ટેસ્ટ ટીમની બહાર હતો. હવે તેને ઈંગ્લેન્ડ પ્રવાસ પર ટીમમાં સામેલ કરી શકાય છે. ઠાકુરે ઘરેલુ ક્રિકેટ અને આ સિઝનની IPL માં શાનદાર પ્રદર્શન કર્યું છે.
લગભગ ૧૮ મહિના બાદ ટેસ્ટમાં વાપસી
તમને જણાવી દઈએ કે, ઠાકુરે છેલ્લે ૨૦૨૩માં દક્ષિણ આફ્રિકા સામે સેન્ચુરિયન ટેસ્ટ રમી હતી. રણજી ટ્રોફીમાં શાર્દુલ ઠાકુર મુંબઈ માટે શાનદાર પ્રદર્શન કરનારા ખેલાડીઓમાંથી એક છે. તેણે મુંબઈ માટે રેડ-બોલ ટૂર્નામેન્ટમાં ૩૫ વિકેટ લીધી અને ૫૦૫ રન પણ બનાવ્યા. આ સાથે જ IPL માં LSG માટે ૯ મેચમાંથી ૧૨ વિકેટ ઝડપી, જેના કારણે તે ટીમના પ્રમુખ વિકેટ-ટેકર બનીને ઉભરી આવ્યો.
મળતા અહેવાલ પ્રમાણે આ શાનદાર પ્રદર્શનના કારણે ૩૩ વર્ષીય ઠાકુરને લગભગ ૧૮ મહિના બાદ ટેસ્ટમાં વાપસીની તક મળી શકે છે. ઈંગ્લેન્ડની પિચો સામાન્ય રીતે સીમર્સને મદદ કરે છે, તેથી ઠાકુર પાસે ફરીથી પોતાને સાબિત કરવાની સુવર્ણ તક છે. ઠાકુરે છેલ્લી વખત ૨૦૨૧માં ઈંગ્લેન્ડમાં ટેસ્ટ મેચ રમી હતી. તેણે ત્રણ ટેસ્ટમાં આઠ વિકેટ લીધી હતી અને ૧૨૨ રન બનાવ્યા હતા, જેમાં બે અડધી સદી સામેલ હતી.
બીજી તરફ શાર્દુલ ઠાકુરના મુંબઈ ટીમના સાથી શ્રેયસ અય્યરના ટેસ્ટ ટીમમાં વાપસીની શક્યતા હજુ પણ ઘણી ઓછી દેખાઈ રહી છે. તેણે ઘરેલુ ક્રિકેટમાં સારું પ્રદર્શન કર્યું છે અને આ સિઝનમાં પંજાબ કિંગ્સ (PBKS) માટે IPL માં પણ પ્રશંસનીય પ્રદર્શન કર્યું છે. તેમ છતાં ટીમમાં પહેલેથી જ ઘણી પ્રતિભાઓ હાજર હોવાથી તેના માટે વાપસી કરવી મુશ્કેલ બની શકે છે.