Last Updated on by Sampurna Samachar
સોનાનાં દરેક ઘરેણાંને યુનિક ઓળખ નંબર આપવા કેન્દ્ર સરકારની તૈયારી
ઓળખ નંબર ફક્ત તે જ ઘરેણા માટે હશે અને ફરી અન્ય કોઇ ઘરેણા માટે તેનો ઉપયોગ કરી શકાશે નહીં
(સંપૂર્ણ સમાચાર સેવા)
સોનાની શુદ્ધતામાં ભેળસેળ અને હોલમાર્કનાં ખોટા ઉપયોગને રોકવા માટે સરકાર હોલ માર્કિંગ વ્યવસ્થાને વધુ કડક બનાવવાની તૈયારી કરી રહી છે. નવા પ્રસ્તાવિત નિયમો હેઠળ હવે દરેક સોનાનાં ઘરેણાંને એક અલગ ઓળખ આપવામાં આવશે. જે ફક્ત તે જ ઘરેણા માટે હશે અને ફરી અન્ય કોઇ ઘરેણા માટે ઉપયોગમાં લઇ શકાશે નહીં.

આનાથી ગ્રાહકોને અસલી અને સાચી શુદ્ધતા વાળું સોનું મળવામાં મદદ મળશે. હાલમાં દેશનાં ૪૦૦ જિલ્લાઓમાં હોલમાર્ક યુનિક આઇડી સિસ્ટમ અમલમાં છે.
નવી વ્યવસ્થાનું પરીક્ષણ પહેલા ૨૫ જિલ્લાઓમાં કર્યુ
જેમાં દરેક ઘરેણાને એક વિશિષ્ટ નંબર આપવામાં આવે છે. સરકારને ફરિયાદો મળી રહી હતી કે કેટલાક કેસોમાં એક જ નંબર અનેક ઘરેણાઓ માટે ઉપયોગમાં લેવામાં આવી રહ્યો છે. તેનાથી ગ્રાહકને જેટલી શુદ્ધતાનું સોનું બતાવવામાં આવે છે તપાસમાં અનેક વખત તેટલું શુદ્ધ સોનું હોતુ નથી.
આ પ્રકારનાં અનેક કેસ સપાટી પર આવ્યા છે. આ ગ્રાહકો સાથે એક પ્રકારની છેતરપિંડી છે. આ સમસ્યાને રોકવા માટે સરકાર હવે નવી અને કડક વ્યવસ્થા અમલમાં મૂકવા જઇ રહી છે. સરકારે આ નવી વ્યવસ્થાનું પરીક્ષણ પહેલા ૨૫ જિલ્લાઓમાં કર્યુ હતું.આ દરમિયાન હોલ માર્કવાળા દરેક ઘરેણાનો ફોટો, વજન અને અન્ય માહિતી ઓનલાઇન પોર્ટલ પર નોંધવામાં આવી હતી.
સોનું ખરીદતી વખતે હંમેશા બીઆઇએસનું હોલમાર્ક ચેક કરો. અસલી હોલમાર્ક પર બીઆઇએસનું નિશાન, શુદ્ધતા અને હોલ માર્કિંગ સેન્ટરનું કોડ સ્પષ્ટ પણે લખેલુ હોય છે. હોલમાર્ક વગરનું સોનું ખરીદવું ન જોઇએ. સોનાની સપાટી પર થોડુક નાઇટ્રિક એસિડ લગાવતા જો તેનો રગં બદલાઇ જાય છે તો તે સાચુ સોનુ નથી.
જો રંગ બદલાતું નથી તો તે સાચુ સોનું છે. સાચુ સોનું ચુંબક પ્રત્યે આકર્ષિત થતું નથી. સોનું મેગ્નેટથી ચોંટીજાય છે તો તેમાં ભેળસેળ હોઇ શકે છે