Last Updated on by Sampurna Samachar
આ કેસની તપાસ માટે સરકારે સ્પેશિયલ પબ્લિક પોસિક્યુટરની નિમણુંક કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદમાં બનેલા ખ્યાતિકાંડમાં ખ્યાતિ હોસ્પિટલના આરોપી કાર્તિક પટેલને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. અમદાવાદની ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરીને ક્રાઈમ બ્રાંચે આરોપીના ૧૪ દિવસના રિમાન્ડની માંગ કરાઈ હતી. જ્યારે કોર્ટ દ્વારા ૧૦ દિવસના એટલે કે ૨૮ જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
પોલીસે ૧૨ જેટલા કારણો રજૂ કર્યા હતા, જ્યારે રિમાન્ડ મંજૂર થતાં વિવિધ મુદ્દાઓને લઈને પૂછપરછ કરાશે. આ કેસની તપાસ માટે સરકારે સ્પેશિયલ પબ્લિક પોસિક્યુટર તરીકે વિજય બારોટની નિમણુંક કરી છે. રિમાન્ડ માટેની રજૂઆત હતી કે, હોસ્પિટલના નુકશાન અંગે ખોટા ઓડિટ રિપોર્ટ તૈયાર કર્યા તેની તપાસ, મેડિકલ કેમ્પની પરવાનગી કોણ આપતું તે બાબતની તપાસ, ઓપરેશનની પરવાનગી તાત્કાલિક કઈ રીતે મળતી તે અંગે તપાસ જરૂરી છે. સાથે કાર્તિક પટેલ દ્વારા કોની કોની મદદથી આ કૌભાંડ આચર્યું તેની તપાસ જરૂરી છે.
હેલ્થ વિભાગનું કોણ કોણ સંકળાયેલુ હતું તે અંગે તપાસ માટે આરોપીની હાજરી જરૂરી છે, તેવી રજૂઆત કરાઈ હતી. પોલીસના મતે કાર્તિક પટેલ ખ્યાતિ હોસ્પિટલમાં ૫૧% ભાગ ધરાવે છે અને પૈસાના રોકાણ અને આવક અંગે તપાસની જરૂર છે. સાથે જ ડોકટરને કમિશન આપીને ખ્યાતિ હોસ્પિટલમાં લાવવામાં આવતા હતા.
ઉપરાંત ગામડાના ગરીબ માણસોને જરૂર ન હોવા છતાં ઓપરેશન કરવામાં આવ્યા હતા તે અંગે તપાસની જરૂર છે. સાથે ગેરકાયદે બીજાના ડેટા ચોરીને PMJAY કાર્ડ કાઢવામાં આવતા હોવાના પણ આરોપ છે. સાથો સાથ૧૬.૬૪ કરોડ રૂપિયા PMJAY યોજના હેઠળ મેળવ્યા છે, તેનું ક્યાં રોકાણ કરવામાં આવ્યું, તે જાણવું જરૂરી છે. હોસ્પિટલની મિનિટ બુક પણ મેળવાની જરૂરી છે. સાથો સાથ આરોપી ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ અને દુબઈમાં ફરીને આવ્યા ત્યાં વાપરવામાં આવેલો મોબાઈલ પણ રિકવર કરવો ખૂબ જરૂરી છે.