ACBનો સપાટો

Share this Article:

Last Updated on by Sampurna Samachar

નાયબ મામલતદાર અને પટ્ટાવાળો ૨૦૦૦૦ની લાંચ લેતા ઝડપાયા

એક જાગૃત ખેડૂત પોતાની ખેતીની જમીનની નોંધ સરકારી ચોપડે પ્રમાણિત કરાવવા માટે લખતર મામલતદાર કચેરીના ધક્કા ખાઇ રહ્યા હતા.

(સંપૂર્ણ સમાચાર સેવા)​

સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાંથી ભ્રષ્ટાચારનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં સરકારી તંત્રના બે કર્મચારીઓ લાંચ લેતા રંગેહાથે ઝડપાયા છે. લખતર મામલતદાર કચેરીમાં એસીબીએ પાડેલા આ દરોડાને પગલે સમગ્ર મહેસૂલ વિભાગમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

આ કેસની વિગતો મુજબ, એક જાગૃત ખેડૂત પોતાની ખેતીની જમીનની નોંધ સરકારી ચોપડે પ્રમાણિત કરાવવા માટે લખતર મામલતદાર કચેરીના ધક્કા ખાઇ રહ્યા હતા. આ કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરવાના બદલામાં ત્યાં ફરજ બજાવતા નાયબ મામલતદાર જયદીપસિંહ હનુભા પરમારે ખેડૂત પાસે રૂ. ૫૦,૦૦૦ ની લાંચની માંગણી કરી હતી. એક તરફ સરકાર ખેડૂતોની સુવિધા માટે ઓનલાઇન અને સરળ પ્રક્રિયાના દાવા કરે છે, ત્યારે બીજી તરફ કચેરીમાં બેઠેલા અધિકારીઓ આ રીતે વહીવટ કરવા માટે ખેડૂતોનું શોષણ કરી રહ્યા હોવાનું આ કિસ્સા પરથી સાબિત થાય છે.

ભ્રષ્ટાચારનું એપી સેન્ટર

ખેડૂત લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે આ અંગે સુરેન્દ્રનગર એસીબી પોલીસનો સંપર્ક કર્યો અને ફરિયાદ નોંધાવી. એસીબીના અધિકારીઓએ તરત જ એક્શનમાં આવીને લખતર મામલતદાર કચેરી ખાતે લાંચનું છટકું ગોઠવ્યું હતું. જ્યારે ખેડૂત લાંચની રકમનો પ્રથમ હપ્તો એટલે કે રૂ. ૨૦,૦૦૦ લઈને કચેરીએ પહોંચ્યા, ત્યારે નાયબ મામલતદારના કહેવાથી આઉટસોર્સિંગ પટ્ટાવાળા કનકસિંહ વાઘુભા ઝાલાએ આ રકમ સ્વીકારી હતી.

જેવી પટ્ટાવાળાએ લાંચની રકમ હાથમાં લીધી, કે તરત જ છુપાઈને ઉભેલા એસીબીના અધિકારીઓએ ત્રાટકીને નાયબ મામલતદાર અને પટ્ટાવાળા બંનેને રંગેહાથે ઝડપી લીધા હતા.

સ્થાનિક અહેવાલો મુજબ, સુરેન્દ્રનગર જિલ્લો જાણે ભ્રષ્ટાચારનું એપી સેન્ટર બની રહ્યો હોય તેમ એક પછી એક લાંચના કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે. તાજેતરમાં જ જિલ્લાના અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ જમીન કૌભાંડોમાં જેલની હવા ખાઈ રહ્યા છે, તેમ છતાં નીચલા સ્તરના કર્મચારીઓમાં કાયદાનો કોઈ ડર રહ્યો હોય તેમ જણાતું નથી.

હાલમાં એસીબીએ બંને આરોપીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે, જો જનતા જાગૃત બને અને ભ્રષ્ટ અધિકારીઓ સામે અવાજ ઉઠાવે, તો તંત્રને ચોખ્ખું કરી શકાય છે

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.