Last Updated on by Sampurna Samachar
ગુજરાતમાં બનતી અનેક દુર્ઘટનામાં ન્યાય ન અપાવ્યાનું કારણ જણાવ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમરેલી લેટરકાંડમાં પાટીદાર દીકરી સાથે કરવામાં આવેલા વર્તનથી આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલીયાએ આત્માને જગાડવા ખુદ પટ્ટા માર્યા હતા. સુરતના પાટીદાર બહુમતીવાળા એવા વરાછા વિસ્તારમાં ગોપાલ ઇટાલીયાએ જનસભા યોજી હતી અને અમરેલીની ઘટનામાં દીકરીને ન્યાય ન અપાવી શક્યા એ બદલ માફી માંગી હતી.
આ ઉપરાંત ગુજરાતના લોકોનો આત્મા જગાડવા માટે જનસભા સંબોધતા સમયે જ સ્ટેજ પરથી પોતાને પટ્ટા માર્યા હતા. ગુજરાતમાં બનતી અનેક ઘટનામાં ન્યાય ન અપાવી શક્યાનું જણાવી ગોપાલ ઇટાલિયાએ માફી માંગવા સાથે સ્ટેજ પર પોતાને પટ્ટા મારીને આશ્વર્યજનક કાર્યક્રમ આપ્યો હતો તે ચર્ચાનો વિષય બન્યો હતો.
સુરતના વરાછા વિસ્તારમાં આપ દ્વારા એક સભાનું આયોજન કરવામા આવ્યું હતું જેમાં આપના નેતા ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં અનેક ઘટના બની છે તેમાં તેઓ લોકોને ન્યાય અપાવી શક્યા નથી તેથી લોકોની માફી માંગીને લોકોના આત્માને જગાડવા માટે સ્ટેજ પરથી પોતાને પટ્ટા મારી રહ્યો છું.
તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં લઠ્ઠાકાંડ, જસદણ બળાત્કાર, મોરબીકાંડ, અગ્નિકાંડ, સરઘસકાંડ, હરણી બોટકાંડ, પેપરલીક કાંડ જેવી અનેક ઘટનાઓ સામે ગોપાલ ઇટાલિયા લડાઈ લડ્યા પરંતુ ન્યાય ન અપાવી શક્યા, ગુજરાતની જનતાનો આત્મા ઊંઘી ગયો છે. ભાજપના નેતાઓ બળાત્કાર, તોડબાજી, જમીન માફિયા, બુટલેગરો, ડ્રગ્સ માફિયા, વ્યાજ માફિયાઓ, અપહરણ, દાદાગીરી જેવા અનેક કાંડ કરે છે છતાંય ગુજરાતની જનતાનો આત્મા ઊંઘી ગયો છે ત્યારે કદાચ ગોપાલ ઇટાલીયા દ્વારા પોતાને જ માર મારવાના કારણે કદાચ જનતાનો આત્મા જાગશે તેવું જણાવ્યું હતું. ઇટાલીયાએ સ્ટેજ પરથી પોતાની જાતને પટ્ટા મારતા સુરતમાં ચર્ચાનો વિષય બન્યો છે.
ગુજરાતના અમરેલીમાં લેટર કાંડ બાદ પાટીદાર યુવતી સામે થયેલી પોલીસની કામગીરી બાદ સુરત સહિત ગુજરાતમાં પડધા પડી રહ્યા છે તેમાં પણ યુવતીએ ધારાસભ્યને લખેલા પત્ર બાદ ગુજરાતભરતમાંથી પાટીદાર સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.