Last Updated on by Sampurna Samachar
બ્રિટિશ યુનિવર્સિટી હવે ભારતમાં કેમ્પસ ખોલશે
૨૦૨૬ ના ઉનાળામાં વિદ્યાર્થીઓનું સ્વાગત કરશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મરે બંને દેશો વચ્ચેના શૈક્ષણિક સંબંધોને વધુ ગાઢ બનાવતાં ઐતિહાસિક પગલું લીધુ છે. બંને દેશના વડાએ મુંબઈમાં બેઠક યોજી જાહેરાત કરી છે કે, યુનિવર્સિટી ઓફ સાઉથમ્પ્ટન સહિત નવ અગ્રણી બ્રિટિશ યુનિવર્સિટી ભારતમાં કેમ્પસ ખોલશે.યુનિવર્સિટી ઓફ સાઉથમ્પ્ટનનું ગુરુગ્રામ ખાતે પ્રથમ કેમ્પસનું ઉદ્ઘાટન થઈ ચૂક્યું છે, જેમાં વિદ્યાર્થીઓએ એડમિશન પણ લીધા છે.
આ પહેલ ભારત-યુકે શૈક્ષણિક સહયોગમાં એક મહત્વપૂર્ણ પગલું છે અને ભારતની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ સાથે સુસંગત છે. તેનો ઉદ્દેશ ભારતીય વિદ્યાર્થીઓને દેશ છોડ્યા વિના વતનમાં જ વિશ્વસ્તરીય શિક્ષણની સુવિધા પૂરી પાડવાનો છે. તેમજ ઈનોવેશન અને કૌશલ્ય વિકાસને વેગ આપવા માટે સહયોગી રિસર્ચ અને શૈક્ષણિક-ઉદ્યોગ ભાગીદારીને પ્રોત્સાહન આપવાનો છે.
ભારતીય તથા યુકે સંસ્થાઓ વચ્ચે સહયોગી સંશોધનને પ્રોત્સાહન મળશે
યુકેની પાંચ પ્રતિષ્ઠિત યુનિવર્સિટીએ ભારતના મુખ્ય શહેરોમાં કેમ્પસ સ્થાપવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. સાઉથમ્પ્ટન ઉપરાંત, યુનિવર્સિટી ઓફ બ્રિસ્ટોલે મુંબઈમાં એક નવું એન્ટરપ્રાઇઝ કેમ્પસ ખોલવા માટે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન તરફથી મંજૂરી મળી છે, જે ૨૦૨૬ ના ઉનાળામાં વિદ્યાર્થીઓનું સ્વાગત કરશે.
આ પાંચ યુનિવર્સિટી ભારતમાં કેમ્પસ ખોલશે
૧. યુનિવર્સિટી ઓફ સાઉથમ્પ્ટન – ગુરુગ્રામ (કેમ્પસ પહેલાંથી જ કાર્યરત)
૨. યુનિવર્સિટી ઓફ લિવરપૂલ – બેંગ્લોર
૩. યુનિવર્સિટી ઓફ યોર્ક – મુંબઈ
૪. યુનિવર્સિટી ઓફ એબરડીન – મુંબઈ
૫. યુનિવર્સિટી ઓફ બ્રિસ્ટોલ – મુંબઈ
બ્રિટિશ PM કીર સ્ટાર્મર આઠ અને નવ ઓક્ટોબરની બે દિવસીય ભારત મુલાકાતે છે. આ તેમની વડાપ્રધાન પદે ભારતની પ્રથમ સત્તાવાર મુલાકાત છે. બે દિવસીય પ્રવાસ દરમિયાન બંને નેતાઓએ વિઝન ૨૦૩૫ રોડમેપ હેઠળ ભારત-યુકે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીના વિકાસની સમીક્ષા કરી છે.
આ ૧૦-વર્ષીય યોજના વેપાર, રોકાણ, ટેકનોલોજી, ઈનોવેશન, સંરક્ષણ, સુરક્ષા, આબોહવા, ઊર્જા, આરોગ્ય, શિક્ષણ અને પીપલ-ટુ-પીપલના જોડાણોને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
આ મુલાકાત યુકેના અત્યાર સુધીના સૌથી મોટા વ્યાપાર પ્રતિનિધિમંડળ સાથે પણ સુસંગત છે, જે દ્વિપક્ષીય સંબંધોને નવી ઉર્જા આપશે. તાજેતરમાં હસ્તાક્ષર કરાયેલ વ્યાપક આર્થિક અને વેપાર કરાર આયાત ખર્ચ ઘટાડવા, યુવાનો માટે નવી રોજગારીની તકો ઉભી કરવા, વેપારને વેગ આપવા અને બંને દેશોમાં ઉદ્યોગો અને ગ્રાહકોને લાભ આપવાની અપેક્ષા છે.
પીએમ મોદીની જુલાઈ, ૨૦૨૫ની યુકે મુલાકાત દરમિયાન અપનાવવામાં આવેલા ભારત-યુકે વિઝન ૨૦૩૫ રોડમેપથી ઉચ્ચ શિક્ષણમાં સહયોગ માટે નવા માર્ગો ખુલ્યા છે. ભારતમાં યુકે યુનિવર્સિટી કેમ્પસની સ્થાપનાથી ભારતીય વિદ્યાર્થીઓને વૈશ્વિક-સ્તરીય શિક્ષણની સુવિધા પૂરી પાડવામાં આવશે. તેમજ ભારતીય તથા યુકે સંસ્થાઓ વચ્ચે સહયોગી સંશોધનને પ્રોત્સાહન મળશે.