સુપ્રીમ કોર્ટે આસામ સરકારને આપ્યો ઠપકો
(સંપૂર્ણ સમાચાર સેવા)
વિદેશી જાહેર કરાયેલા લોકોને દેશનિકાલ ન કરવા બદલ સુપ્રીમ કોર્ટે આસામ સરકારને સખત ઠપકો આપ્યો હતો. સર્વોચ્ચ અદાલતે હિમંતા બિસ્વા સરમાની આગેવાની હેઠળની રાજ્ય સરકારને પૂછ્યું કે શું તે ૬૩ વિદેશીઓને દેશનિકાલ કરવા માટે કોઈ “મુહૂર્ત”ની રાહ જોવાઈ રહી છે. જસ્ટિસ અભય એસ ઓકા અને ઉજ્જવલ ભુયાનની બેંચે આસામ સરકારને રાજ્યમાં નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સ અપડેટ કરવાની પ્રક્રિયા દરમિયાન જાહેર કરાયેલ વિદેશીઓને દેશનિકાલ કરવા જણાવ્યું હતું.
જસ્ટિસ ઓકાએ કહ્યું કે આસામ તથ્યોને દબાવી રહ્યું છે, જેના પર ભારતના સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જવાબ આપ્યો કે તેમણે સર્વોચ્ચ અધિકારી સાથે વાત કરી છે અને કેટલીક ભૂલો માટે માફી માંગી છે. જસ્ટિસ ઓકાએ કહ્યું કે અમે તમને ખોટી જુબાની માટે નોટિસ જારી કરીશું. તમારે સ્પષ્ટતા કરવી પડશે. જોકે રાજ્યના વકીલે કહ્યું હતું કે છુપાવવાનો કોઈ ઈરાદો નથી.
આ પછી જસ્ટિસ ભૂયાને પૂછ્યું, એકવાર તમે કોઈ વ્યક્તિને વિદેશી જાહેર કરી દો, પછી તમારે આગળનું તાર્કિક પગલું ભરવું જોઈએ. તમે તેમને કાયમ માટે કસ્ટડીમાં રાખી શકતા નથી. આસામમાં ઘણા વિદેશી અટકાયત કેન્દ્રો છે. તમે કેટલાને દેશનિકાલ કર્યો છે? ત્યારબાદ બેંચે આસામ સરકારને ગેરકાયદેસર વસાહતીઓને તાત્કાલિક દેશનિકાલ કરવાનો નિર્દેશ આપ્યો હતો.
રાજ્યના જવાબને નકારી કાઢતા કે વિદેશીઓના તેમના દેશોમાં સરનામાંઓ જાણીતા નથી, જસ્ટિસ ઓકાએ કહ્યું કે તમારે તેમને તેમના દેશની રાજધાનીમાં મોકલવા જાેઈએ. ધારો કે વ્યક્તિ પાકિસ્તાનની છે, તો શું તમે પાકિસ્તાનની રાજધાની જાણો છો? તેમનું વિદેશી સરનામું ખબર નથી એમ કહીને અહીં અટકાયત ન કરવી જોઈએ? ખંડપીઠે કહ્યું કે વિદેશીઓને તરત જ દેશનિકાલ કરવામાં આવે.
જસ્ટિસ ઓકાએ કહ્યું કે તમે તેની નાગરિકતાની સ્થિતિ જાણો તો પછી તમે તેમનું સરનામું ન મળે ત્યાં સુધી તમે કેવી રીતે રાહ જોઈ શકો? તેમણે ક્યાં જવું તે બીજા દેશે નક્કી કરવાનું છે. તેમણે આસામને એ પણ પૂછ્યું કે શા માટે તેણે વિદેશ મંત્રાલયને પ્રક્રિયા પૂર્ણ કરવામાં મદદ માંગતો પ્રસ્તાવ સબમિટ કર્યો નથી.