વસ્ત્રાપુર GMDC ગ્રાઉન્ડ ખાતે શરૂ થયેલા મેળાને કેન્દ્રીય મંત્રી અમિત શાહે ખુલ્લો મુક્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન દ્વારા ૨૩ જાન્યુઆરી ૨૦૨૫ દરમિયાન વસ્ત્રાપુર GMDC ગ્રાઉન્ડ ખાતે હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળો યોજાયો છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય કાર્યકારિણી સદસ્ય સુરેશ ભૈયાજી જોશી, સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજી, લીંબડી નિંબાર્ક પીઠના મહામંડલેશ્વર ૧૦૦૮ લલિત કિશોરદાસજી મહારાજ, છારોડી સ્વામિનારાયણ ગુરુકુળના સ્વામી માધવ પ્રિયદાસજી તેમજ વિવિધ સંપ્રદાયના સાધુ સંતો પણ જોડાયા હતા.
મહત્વનું છે કે, આજથી શરૂ થયેલા મેળામાં વિભિન્ન સાંસ્કૃતિક, ધાર્મિક અને સર્જનાત્મક વિષયોનું સુંદર સમન્વય કરવામાં આવ્યું છે. ૧૧ કુંડી સમરસતા યજ્ઞશાળા, ૧૧થી વધુ મુખ્ય મંદિરોનું જીવંત દર્શન, ૧૫થી વધારે મુખ્ય મંદિરોની પ્રતિકૃતિ, કુંભ મેળા દર્શન, ગંગા આરતી, આદિવાસી સંસ્કૃતિ દર્શાવતું વનવાસી ગ્રામ આદિ મેળામાં ઝાંખી મૂકવામાં આવી છે.
આજથી શરૂ થયેલા કેન્દ્રીય મેળાના ઉદ્ઘાટન પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંબોધન કર્યું હતું. જેમાં તેમણે નેતાજી સુભાષચંદ્ર બોઝને યાદ કર્યા હતા. તેમજ જણાવ્યું હતું કે, ‘‘સૌથી પહેલા નેતાજીને પ્રણામ કરી મારી વાતની શરૂઆત કરું છું. નેતાજી ૯૦ વર્ષના આઝાદીના સંગ્રામમાં ધ્રુવ તારાની જેમ રહ્યા છે. સમગ્ર જીવન ત્યાગ આઝાદી માટે સમર્પિત કર્યું. નેતાજીને હું ફરીવાર પ્રણામ કરું છું. આવતા પહેલા થોડું ચક્કર લગાવીને હું આવ્યો ૨૦૦થી વધુ સેવા કરવાવાળી સંસ્થાઓને એક મંચ પર લાવવાનું કામ આયોજકોએ કર્યું છે.’’
આ સાથે તેમણે જણાવ્યું છે કે, ‘‘આ હિન્દુ મેળામાં રાણી અહિલ્યાબાઈનો પણ સ્ટોલ છે. તેમણે ૨૦ ધર્મસ્થાનોને પુનઃ જીવિત કરવાનું કામ કર્યું હતું. ૩૦૦ વર્ષ ખૂબ મોટી માત્રામાં ઉજવવામાં આવ્યા છે. ત્યારે આ મેળામાં પણ એમને સ્થાન આપ્યું છે. જે જ્ઞાનવર્ધક થશે એનો મને વિશ્વાસ છે.’’