Last Updated on by Sampurna Samachar
PM મોદીએ ફરી એકવાર નેહરૂ પર કર્યા પ્રહાર
દેશના ભાગલા પાડ્યા તેની સાથે પાણીના પણ ભાગલા પાડ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ NDA ની સંસદીય દળની બેઠકને સંબોધિત કરતાં ફરી એકવાર પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરૂ પર આક્ષેપો કર્યા છે. આ બેઠકમાં NDA તરફથી ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણનનો ઔપચારિક પરિચય આપવામાં આવ્યો હતો. વડાપ્રધાને તેમને સન્માનિત પણ કર્યા હતા. સંસદની લાઈબ્રેરી બિલ્ડિંગમાં યોજાયેલી આ બેઠકમાં સીપી રાધાકૃષ્ણને સાંસદો સાથે મુલાકાત કરી હતી. તે દરમિયાન મોદીએ આક્રમક નિવેદન આપ્યું હતું.

NDA ની આ બેઠકમાં વડાપ્રધાન મોદીએ સિંધુ જળ સંધિ મુદ્દે આક્રમક પ્રહારો કર્યા હતા. તેમણે નેહરૂ પર આક્ષેપ કરતાં કહ્યું હતુ કે, ‘ પંડિત જવાહરલાલ નેહરૂએ પહેલા દેશના ભાગલા પાડ્યા અને બાદમાં પાણીના પણ ભાગલા પાડ્યા. તેમણે સિંધુ જળ સંધિ હેઠળ ૮૦ ટકા પાણી પાકિસ્તાનને સોંપી દીધું.
આ સંધિ સાથે ભારતના હાથ બાંધી દીધા હતા
ઉલ્લેખનીય છે, ત્યારબાદ નેહરૂએ પોતે પોતાના સચિવના માધ્યમથી આ ભૂલનો સ્વીકાર કર્યો હતો કે, તેનો કોઈ લાભ થયો નથી. આ સમાધાન સંપૂર્ણપણે ખેડૂત વિરોધી હતું.‘ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ સિંધુ જળ સંધિ મુદ્દે જવાહરલાલ નહેરૂ પર આક્ષેપો કર્યા હતા. તેમણે સોશિયલ મીડિયા પર આ જળ સંધિના નિરીક્ષણની માહિતી આપતાં કહ્યું કે, ‘વડાપ્રધાન મોદીએ ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ દ્વારા આચરવામાં આવેલા હિમાલય બ્લન્ડર સુધારવાનો પ્રયાસ કર્યો છે. આ ર્નિણય લેતી વખતે નહેરૂએ સંસદ ગૃહને વિશ્વાસમાં લીધુ ન હતુ. તેની સાથે ચર્ચા-વિચારણા પણ કરી ન હતી.‘
નડ્ડાએ આગળ કહ્યું કે, ‘સપ્ટેમ્બર, ૧૯૬૦માં આ સંધિ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. જેના બે મહિના બાદ સંસદ ગૃહ સમક્ષ આ બિલ રજૂ કરવામાં આવ્યું હતું. અને માત્ર બે કલાકમાં ર્નિણય લેવાયો હતો. ઈતિહાસ કહી રહ્યો છે કે, તે નહેરૂનું હિમાલય બ્લન્ડર હતું. તેમણે આ સંધિ સાથે ભારતના હાથ બાંધી દીધા હતા. જો વડાપ્રધાન મોદીનુ ભારત પ્રથમની પ્રતિબદ્ધતા સાથે છટાદાર નેતૃત્વ ન હોત તો આગળ પણ આપણે તેની કિંમત ચૂકવવી પડી હોત.
PM મોદીએ NDA ના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણન વિશે માહિતી આપી હતી કે, ‘તેઓ OBC સમાજમાંથી આવતા ગ્રાઉન્ડ લીડર છે. સહજ સ્વભાવ ધરાવતા રાધાકૃષ્ણને રાજનીતિને રમતની જેમ ક્યારેય રમી નથી. ઉપરાષ્ટ્રપતિ પદ માટે NDA તરફથી તેમનું નામ આપવા બદલ અમે ગર્વ અનુભવીએ છીએ.‘