Last Updated on by Sampurna Samachar
છત્તીસગઢ પોલીસ અને CRPF ના વરિષ્ઠ અધિકારીઓ કર્યુ સરન્ડર
અત્યારસુધી રાજ્યમાં જુદી-જુદી અથડામણમાં ૧૧૬ નક્સલી માર્યા ગયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
છત્તીસગઢમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (MODI) ની મુલાકાતના થોડા કલાક પહેલાં જ બીજાપુર જિલ્લામાં ૫૦ નક્સલવાદીઓએ સરન્ડર કર્યું છે. જેમાં ૧૪ પર કુલ રૂ. ૬૮ લાખનું ઈનામ હતું. CRPF દ્વારા આ અંગે માહિતી આપવામાં આવી હતી. નક્સલવાદીઓએ છત્તીસગઢ પોલીસ અને CRPF ના વરિષ્ઠ અધિકારીઓ સમક્ષ હથિયાર ફેંકી સરન્ડર કર્યું હતું.

મીડિયા રિપોર્ટ અનુસાર સરન્ડર કરનારા ૫૦ લોકોમાંથી છ પર આઠ-આઠ લાખનું ઈનામ હતું. જ્યારે અન્ય ત્રણ પર પાંચ-પાંચ લાખ અને અન્ય પાંચ નક્સલીઓ પર એક-એક લાખ રૂપિયાનું ઈનામ સુરક્ષા કર્મીઓએ જાહેર કર્યું હતું.
દેશને નક્સલ મુક્ત બનાવવાના અભિયાન હેઠળ કાર્યવાહી
સરન્ડર કરનારા નક્સલીઓએ પ્રતિબંધિત કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માઓવાદી) ના વરિષ્ઠ કાર્યકરો દ્વારા પોકળ અને અમાનવીય માઓવાદી વિચારધારા, આદિવાસીઓનું શોષણ અને ચળવળમાં વધતા જતા મતભેદોને ટાંકીને સરન્ડર કર્યું હોવાનું જણાવ્યું છે. બીજાપુરના વરિષ્ઠ પોલીસ અધિકારી જિતેન્દ્ર કુમાર યાદવે જણાવ્યું હતું કે, દેશને નક્સલ મુક્ત બનાવવાના અભિયાન હેઠળ સુરક્ષા કર્મીઓ ઉગ્ર કાર્યવાહી હાથ ધરી રહ્યા છે.
મોટાપાયે સર્ચ ઓપરેશન અને નક્સલીઓને ઠાર મારવાના આદેશના પગલે નક્સલવાદીઓમાં ભયનો માહોલ ફેલાયો છે. સુરક્ષા દળોની છાવણી અને નિયા નેલ્લનાર (તમારૂ સારૂ ગામ) યોજના અમલી બનાવી છે. જેના ભાગરૂપે સિક્યોરિટી ફોર્સ અને પ્રશાસન અંતરિયાળ વિસ્તારોમાં પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ.
જિલ્લા રિઝર્વ ગાર્ડ (DRG), બસ્તર ફાઈટર્સ, STF , CRPF અને કોબ્રાએ નક્સલીઓના સરન્ડરમાં વિશેષ ભૂમિકા નિભાવી છે. નક્સલીઓ આંદોલન છોડી મુખ્યધારામાં સામેલ થાય તે હેતુ સાથે સરકારે નીતિઓ ઘડી છે. આ સરન્ડર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છત્તીસગઢ મુલાકાતના થોડા કલાકો પહેલાં કરવામાં આવ્યું હતું.
સુરક્ષા દળોએ છત્તીસગઢના બસ્તર સંભાગમાં સુકમા અને બીજાપુર જિલ્લામાં થયેલી બે અથડામણમાં ૧૧ મહિલાઓ સહિત ૧૮ નક્સલીઓને ઠાર માર્યા છે. આ વર્ષે અત્યારસુધી રાજ્યમાં જુદી-જુદી અથડામણમાં ૧૧૬ નક્સલી માર્યા ગયા છે.