Last Updated on by Sampurna Samachar
હિમાચલમાં ૨૨ મુસાફરોને લઈ જતી બસ ખીણમાં ખાબકી
પ્રવાસીઓથી ભરેલી આ બસ સોઝા નજીકથી પસાર થઈ રહી હતી ત્યારે વળાંક પર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં પ્રવાસીઓ માટે રવિવાર અમંગળ સાબિત થઈ છે. બંજર પોલીસ સ્ટેશનની હદમાં આવતા સોઝા નજીક ૨૨ મુસાફરોને લઈ જતી એક બસ પર્વતીય રસ્તા પરથી કાબુ ગુમાવતા ઊંડી ખીણમાં ખાબકી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં ૪ લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે ૧૮ મુસાફરોનો આબાદ બચાવ થયો છે.

અહેવાલો અનુસાર, પ્રવાસીઓથી ભરેલી આ બસ સોઝા નજીકથી પસાર થઈ રહી હતી ત્યારે વળાંક પર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને બસ સીધી કોતરમાં ખાબકી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બસ પલટી મારી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ સ્થાનિક રહીશો મદદ માટે દોડી આવ્યા હતા અને કુલ્લુ તેમજ પોલીસની ટીમોને જાણ કરી હતી. પોલીસ, મહેસૂલ વિભાગ, ફાયર બ્રિગેડ અને આરોગ્ય વિભાગની ટીમોએ સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરી ૧૮ ઈજાગ્રસ્તોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.
તમામ ઈજાગ્રસ્તો ખતરાથી બહાર
કુલ્લુના ડેપ્યુટી કમિશનર અનુરાગ ચંદ્રાએ આ અકસ્માતની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, દુર્ઘટનામાં ૪ લોકોના મોત થયા છે, જેમાં ૨ પુરુષ અને ૨ મહિલાઓનો સમાવેશ થાય છે. બચાવી લેવામાં આવેલા તમામ ૧૮ મુસાફરોને તાત્કાલિક બંજરની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તબીબોની ટીમ દ્વારા તેમની દેખરેખ રાખવામાં આવી રહી છે. હાલમાં તમામ ઈજાગ્રસ્તો ખતરાથી બહાર હોવાનું જાણવા મળ્યું છે.
આ અકસ્માતે ફરી એકવાર પહાડી વિસ્તારોમાં મુસાફરી કરતા પ્રવાસીઓની સુરક્ષા સામે સવાલો ઊભા કર્યા છે. સ્થાનિક રહેવાસીઓ અને વહીવટી તંત્રની તત્પરતાને કારણે મોટી જાનહાનિ ટળી હતી. વહીવટી તંત્ર દ્વારા હાલ મૃતકોના પરિવારજનોનો સંપર્ક કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને અકસ્માતના ચોક્કસ કારણો જાણવા તપાસ શરૂ કરી છે.