Last Updated on by Sampurna Samachar
ક્યાંક પૂર તો ક્યાંક ભૂસ્ખલનમાં જનજીવન ખોરવાયું
લોકોને રાતના સમયે પ્રવાસ નહીં કરવા સરકારની સલાહ
(સંપૂર્ણ સમાચાર સેવા)
દેશભરમાં મેઘરાજાએ દક્ષિણ ભારતમાં ભારે તબાહી સર્જી છે. ત્યારે હવે ચોમાસાએ હવે પૂર્વોત્તર ભારતમાં ભારે વિનાશ કર્યો છે. મિઝોરમ, અસમ, મણિપુરથી લઈને ત્રિપુરા અને અરૂણાચલ પ્રદેશ સુધીના રાજ્યોમાં વરસાદના કારણે ક્યાંક ભૂસ્ખલન થયું છે તો ક્યાંક ફ્લેશ ફ્લડ આવ્યું છે. આ વિસ્તારમાં વરસાદ સંબંધિત ઘટનાઓના કારણે ૨૫ લોકોનાં મોત નીપજ્યાં હોવાની માહિતી છે.

વાત કરીએ તો પૂર્વોત્તર ભારતમાં મુશળધાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં રસ્તા તૂટી ગયા છે અને ભૂસ્ખલન તથા ફ્લેશ ફ્લડના કારણે અનેક મકાનો તૂટી પડયા છે, જેના પગલે ૧૨, ૦૦૦ થી વધુ લોકો અસરગ્રસ્ત થયા છે અને સેંકડો લોકો વિવિધ સ્થળો પર ફસાયા હોવાની આશંકા છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં વધુ ભયાનક વરસાદની ચેતવણી આપી છે.
હવામાન વિભાગે રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું
અરૂણાચલ પ્રદેશમાં ભૂસ્ખલનના કારણે નવ લોકોએ જીવ ગુમાવ્યા છે. રાજ્યના અનેક ભાગમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. NH ૧૩ પર અચાનક ભૂસ્ખલનના કારણે એક વાહન તણાઈ ગયું હતું, જેથી તેમાં સાત લોકોનાં મોત નીપજ્યાં હતા. સરકારે લોકોને રાતના સમયે પ્રવાસ નહીં કરવા સલાહ આપી છે.

ત્રિપુરામાં પણ મૂશળધાર વરસાદ અને આંધીના કારણે અનેક ઘરોને નુકસાન થયું હતું. આસામની રાજધાની ગુવાહાટીમાં ભૂસ્ખલનને કારણે અનેક ઘર લપેટમાં આવી ગયા હતા. આ દુર્ઘટનામાં પાંચ લોકો મૃત્યુ પામી ગયા હતા. જેમાં એક જ પરિવારના ત્રણ લોકો પણ સામેલ છે. આ સિવાય ગોલાઘાટ જિલ્લામાં બે અને લખીમપુરમાં એક વ્યક્તિ મૃત્યુ પામી હતી.
અગરતલામાં હાવડા નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે. ત્રિપુરામાં એક વ્યક્તિનું ડૂબી જવાથી મોત થયું હોવાના સમાચાર છે. અનેક સ્થળો પર વૃક્ષો તૂટી પડતા રસ્તામાં અવરોધો ઊભા થઈ ગયા છે.
મણિપુરમાં પણ નદીઓ જાેખમના સ્તરથી ઉપર વહી રહી છે. ઈમ્ફાલ પૂર્વમાં અનેક વિસ્તાર પૂરના પાણીમાં ડૂબી ગયા છે. ઈમ્ફાલના પશ્ચિમ જિલ્લામાં ૧૯૭.૮ મીમી વરસાદ નોંધાયો હતો.
આસામમાં પણ ૨૪ કલાકમાં છ જિલ્લામાં મૂશળધાર વરસાદના કારણે ભૂસ્ખલન થતાં પાંચ લોકોનાં મોત નીપજ્યાં હતા તથા ૧૦, ૦૦૦ થી વધુ લોકો અસરગ્રસ્ત બન્યા હતા. હવામાન વિભાગે અનેક વિસ્તારોમાં રેડ અને ઓરેન્જ એલર્ટ (Alert) જાહેર કરી છે. દરમિયાન રાજસ્થાનમાં અનેક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ થયો હતો, જેના પગલે નૌતપાના સમયમાં પણ સ્થાનિક લોકોને હીટવેવ અને ગરમીથી રાહત મળી છે. જો કે, જેસલમેરમાં તાપમાન ૪૩.૬ ડિગ્રી નોંધાયું હતું.