કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો
શ્વાસ લેવામાં તકલિફ થતા હોસ્પિટલમાં ખસેડાયા હતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા. ૨૯
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ગુરુવારના રોજ ૯૨ વર્ષની વયે દુઃખદ નિધન થયું છે. કેશુભાઈ પટેલને શ્વાસ લેવામાં તકલીફ થતા અમદાવાદની ખાનગી સ્ટર્લિંગ હોસ્પિટલમાં ખસેડાયા હતા. તેમને ગત મહિને કોરોના સંક્રમણ થયું હતું. છેલ્લા ઘણા સમયથી ઉંમરને લગતી તકલીફોનો પણ તેઓ સામનો કરી રહ્યા હતા. ૯૨ વર્ષીય કેશુભાઈ પટેલની કોરોનાની સારવાર ચાલી રહી હતી અને તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જો કે ઓક્સિજન લેવામાં તેમને તકલીફ પડતી હોવાની ફરિયાદને પગલે તેમને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રાપ્ત વિગતો મુજબ કેશુભાઈ પટેલનું નિધન કાર્ડિયાક એરેસ્ટને પગલે થયું હતું. કેશુભાઈ પટેલના નિધનને પગલે ભાજપે પેટા ચૂંટણી માટેના તમામ પ્રચારકાર્યો અને જાહેરસભા મોકુફ રાખવાનો નિર્ણય કર્યો છે. સીએમ વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગુજરાત ભાજપ પ્રમુખ સી આર પાટીલ ગાંધીનગર આવવા રવાના થયા છે. સીએમ રૂપાણી દ્વારા ગાંધીનગરમાં કેબિનેટમાં કેશુભાઈ પટેલના નિધન બદલ શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવશે અને તેમના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજકીય સમ્માન સાથે આજે સાંજે ગાંધીનગર ખાતે કરાશે.