Last Updated on by Sampurna Samachar
વિદ્યાર્થીના ફિઝિક્સના પેપરમાં ઓછા માર્ક્સ મેળવ્યા હતા
ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરત શહેરના સચિન તેલનપુર વિસ્તારમાં ધોરણ ૧૨ સાયન્સમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ ફિઝિક્સ વિષયના પેપરમાં ઓછા માર્ક્સ આવતા આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં શોક છવાઈ ગયો છે. ISRO માં વૈજ્ઞાનિક બનવાનું સપનું જોતા આ ૧૬ વર્ષીય વિદ્યાર્થીએ માર્ક્સથી નિરાશ થઈ ઘરમાં જ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું.

મળતી માહિતી અનુસાર સુરત શહેરમાં સચિન તેલનપુરમાં રહેતા તનમય રાઠોડ નામના ૧૬ વર્ષીય વિદ્યાર્થીએ હાલમાં લેવાયેલી પ્રથમ સત્રની પરીક્ષામાં ફિઝિક્સના પેપરમાં ઓછા માર્ક્સ મેળવ્યા હતા. ઈસરોમાં જવાનું સ્વપ્ન જોતા હોશિયાર તનમયને આ વાતનું માઠું લાગી આવતા તેણે ઘરમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. તનમયના પિતા હિમાંશુભાઈ જાણીતી કંપનીમાં એન્જિનિયર છે.
વિદ્યાર્થીના આપઘાતથી પરિવારમાં શોકનો માહોલ
આ ઘટનાએ પરિવારને ઊંડા શોકમાં ગરકાવ કરી દીધો છે. કારણ કે મૃતક વિદ્યાર્થીના કાકા જીતુભાઈ રાઠોડ પોતે શાળા-કોલેજોમાં વિદ્યાર્થીઓને આપઘાત ન કરવા અંગેની તાલીમ આપવાનું કાર્ય કરે છે. આશ્ચર્યજનક વાત તો એ છે કે, જીતુભાઈ પોતે ધોરણ ૧૦ માં ત્રણ વખત નાપાસ થયા બાદ પણ હાર માન્યા વિના મહેનત કરી કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે. પરંતુ તેમના જ ભત્રીજાએ આત્મઘાતી પગલું ભરી લેતા આખો પરિવાર શોકમાં ડૂબી ગયો છે.
આ ઘટનાની જાણ થતાં સચિન પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે હાલમાં આપઘાતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ કરુણ ઘટનાએ ફરી એકવાર વિદ્યાર્થીઓ પરના શૈક્ષણિક દબાણ અને તેના ગંભીર પરિણામો તરફ સૌનું ધ્યાન દોર્યું છે.