Last Updated on by Sampurna Samachar
આ ૧૦ ધારાસભ્યો મંત્રી પોંગુલેટી શ્રીનિવાસ રેડ્ડીથી નારાજ હોવાના અહેવાલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
કોંગ્રેસ શાસિત તેલંગાણામાં બળવાના સંકેત મળી રહ્યા છે. તેલંગાણામાં કોંગ્રેસ પાર્ટીમાં આંતરિક વિખવાદના સમાચાર સામે આવી રહ્યા છે. પાર્ટીના ૧૦ ધારાસભ્યોએ બંધ બારણે બેઠક યોજી હતી, જેનાના કારણે નેતૃત્વમાં ચિંતા વધી ગઈ છે. ત્યારે હવે આ મામલાની ગંભીરતાને જોતા મુખ્યમંત્રી એ. રેવંત રેડ્ડીએ પાર્ટીના ધારાસભ્યોમાં વધી રહેલા અસંતોષને શાંત કરવા માટે કમાન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે પોતાના તમામ મંત્રીઓ સાથે ઈમરજન્સી બેઠક બોલાવી છે. આ ૧૦ ધારાસભ્યો મંત્રી પોંગુલેટી શ્રીનિવાસ રેડ્ડીથી નારાજ હોવાની માહિતી સામે આવી રહી છે.
પરિસ્થિતિની ગંભીરતાને સમજીને મંત્રી પોંગુલેટી શ્રીનિવાસ રેડ્ડીએ મુખ્યમંત્રી દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં હાજરી આપવા માટે પોતાની પલેયર મુલાકાત રદ કરી દીધી છે. CM રેવંત રેડ્ડીએ અધિકારીઓને બેઠકમાં હાજર રહેવાનો નિર્દેશ આપ્યો છે જે પાર્ટીની અંદર અસંતોષની ગંભીરતા દર્શાવે છે. કોંગ્રેસ હાઈકમાન્ડને ચિંતા છે કે સ્થાનિક સંસ્થા અને ચૂંટણી પહેલા ધારાસભ્યો દ્વારા કોઈપણ બળવાથી જનતામાં ખોટો સંદેશ જઈ શકે છે.
કોંગ્રેસના દસ ધારાસભ્યોએ ધારાસભ્ય અનિરુદ્ધ રેડ્ડીના ફાર્મહાઉસ પર મુલાકાત કરી હતી, જેનાથી પાર્ટીમાં આંતરિક મતભેદોની અટકળોને વેગ મળ્યો છે. બેઠકમાં હાજર રહેલા ધારાસભ્યોમાં નૈની રાજેન્દ્ર રેડ્ડી, ભૂપતિ રેડ્ડી, યેનમ શ્રીનિવાસ રેડ્ડી, મુરલી નાઈક, કુચુકુલ્લા રાજેશ રેડ્ડી, સંજીવ રેડ્ડી, અનિરુદ્ધ રેડ્ડી, લક્ષ્મીકાંત, દોંતી માધવ રેડ્ડી અને બિરલા ઈલૈયા સામેલ હતા.
હવે કોંગ્રેસ ધારાસભ્યોની સીક્રેટ મીટિંગ બાદ આતંરિક વિખવાદને છુપાવવાનો પ્રયાસ કરતા નાગરકર્નૂલના સાંસદ મલ્લુ રવિએ કહ્યું કે, આ માત્ર એક ડિનર મીટિંગ હતી. તેમણે આરોપ લગાવ્યો કે વિપક્ષો આ મુદ્દાને અતિશયોક્તિપૂર્ણ રીતે રજૂ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
કોંગ્રેસના સાંસદે કહ્યું કે, ‘ધારાસભ્યોની મીટિંગ કોઈ ફાર્મહાઉસમાં નહીં પરંતુ ITC કોહિનૂરમાં યોજાઈ હતી. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે ડિનરમાં ૧૦ ધારાસભ્યો પહોંચવાના હતા, પરંતુ માત્ર આઠ ધારાસભ્યો જ હાજર રહ્યા હતા. મેં બધા ધારાસભ્યો સાથે વ્યક્તિગત રીતે વાત કરી છે અને બળવાની કોઈપણ શક્યતાને સંપૂર્ણપણે નકારી કાઢી છે.
આ સમગ્ર પ્રકરણને અતિશયોક્તિપૂર્ણ રીતે રજૂ કરવામાં આવ્યું છે અને તેને એવો રંગ આપવામાં આવ્યો હતો કે જાણે કોંગ્રેસના ધારાસભ્યો રાજ્ય નેતૃત્વ સામે અવાજ ઉઠાવવા માટે ભેગા થયા હોય.’મલ્લુ રવિએ આરોપ લગાવ્યો કે, વિપક્ષી પાર્ટીઓએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
આ વચ્ચે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, તેલંગાણા કોંગ્રેસ બેઠકમાં હાજર રહેલા તમામ ધારાસભ્યો પાસેથી સ્પષ્ટતા માંગશે. તેલંગાણા કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે, રાજ્ય નેતૃત્વ ધારાસભ્યો પાસેથી સ્પષ્ટતા માંગે તેવી પૂરી શક્યતા છે. જો આ કરવામાં નહીં આવે તો પાર્ટીના કાર્યકરોમાં ખોટો સંદેશ જશે. એવું માનવામાં આવે છે કે અસંતુષ્ટ ધારાસભ્યોમાંથી મોટાભાગના ધારાસભ્યો એવા છે જેઓ ગત વર્ષે કે. ચંદ્રશેખર રાવની ભારત રાષ્ટ્ર સમિતિમાંથી રાજીનામું આપીને કોંગ્રેસમાં સામેલ થયા હતા. તમને જણાવી દઈએ કે, ગયા વર્ષે માર્ચ અને જુલાઈમાં – લોકસભા ચૂંટણી પહેલા અને પછી ૧૦ ધારાસભ્યો અને ઓછામાં ઓછા ૬ વિધાન પરિષદ સભ્યો કોંગ્રેસમાં સામેલ થઈ ગયા હતા.