Last Updated on by Sampurna Samachar
અફઘાનિસ્તાન પર પાકિસ્તાનની ફરી એરસ્ટ્રાઈક!
ખોસ્ત ઉપરાંત કુનર-પક્તિકામાં પણ એરસ્ટ્રાઇકનો દાવો
(સંપૂર્ણ સમાચાર સેવા)
અફઘાનિસ્તાનના ખોસ્ત પ્રાંતમાં પાકિસ્તાની સેના દ્વારા કરાયેલી કાર્યવાહીના પરિણામે સરહદ પર તણાવ ફરી વધ્યો છે. અફઘાન તાલિબાનના પ્રવક્તા જબિહુલ્લાહ મુજાહિદે માહિતી આપી હતી કે પાકિસ્તાની સેનાના હવાઈ હુમલામાં ઓછામાં ઓછા ૯ બાળકો અને ૧ મહિલા સહિત કુલ ૧૦ લોકોનાં મોત થયાં છે. મૃતકોમાં ૫ છોકરાઓ અને ૪ છોકરીઓનો સમાવેશ થાય છે.

મુજાહિદના જણાવ્યા મુજબ, આ હુમલો રાત્રે ૧૨ વાગ્યે ગેરબઝવો જિલ્લામાં સ્થાનિક નિવાસી વિલાયત ખાનના ઘર પર કરવામાં આવ્યો હતો, જેના કારણે તેમનું આખું ઘર ધ્વસ્ત થઈ ગયું હતું. તાલિબાની નેતા જબિહુલ્લાહ મુજાહિદે દાવો કર્યો હતો કે પાકિસ્તાની સેનાએ ખોસ્ત સિવાય કુનર અને પક્તિકા પ્રાંતોમાં પણ હવાઈ હુમલા કર્યા હતા, જેના પરિણામે ૪ નાગરિકો ઘાયલ થયા છે.
તણાવ વધવાની શક્યતા હજી પણ યથાવત્
આ ઘટના સાથે સંબંધિત તસવીરો પણ તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર શેર કરી હતી, જેમાં ધ્વસ્ત થયેલા ઘરનો કાટમાળ અને મૃત બાળકોના મૃતદેહો સ્પષ્ટપણે દેખાય છે. આ ઘટના અંગે પાકિસ્તાનની સેના કે વિદેશ મંત્રાલય તરફથી હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરાયું નથી. આ બૉમ્બમારો એવા સંજોગોમાં થયો છે.
જ્યારે એક દિવસ પહેલાં જ પાકિસ્તાનના પેશાવરમાં બે આત્મઘાતી હુમલા થયા હતા, જેમાં ત્રણ અર્ધસૈનિક કર્મચારીઓનાં મોત નીપજ્યાં હતાં. પાકિસ્તાની અધિકારીઓએ આ હુમલાઓ માટે અફઘાન સરહદની અંદર છુપાયેલા હોવાનો આરોપ મૂકાયેલા આતંકવાદી તત્વોને જવાબદાર ગણાવ્યા હતા.
છેલ્લા કેટલાક મહિનાઓમાં બંને દેશો વચ્ચેનો તણાવ સતત વધ્યો છે. ઓક્ટોબરમાં પાકિસ્તાની અને અફઘાન સૈનિકો વચ્ચે થયેલી અથડામણોમાં ડઝનબંધ લોકોએ જીવ ગુમાવ્યા હતા. ૨૦૨૧માં અફઘાનિસ્તાનમાં તાલિબાનની સત્તા વાપસી પછી આ સંઘર્ષને સૌથી ગંભીર માનવામાં આવ્યો હતો. જોકે, ત્યારબાદ દોહામાં બંને પક્ષો દ્વારા યુદ્ધવિરામ કરાર થયો હતો, પરંતુ તૂર્કિયેમાં આયોજિત શાંતિ વાર્તા કોઈ કાયમી ઉકેલ લાવ્યા વિના સમાપ્ત થઈ ગઈ હતી.આ તણાવનું મુખ્ય કારણ પાકિસ્તાનની તે અપેક્ષા માનવામાં આવે છે, જેમાં તેણે અફઘાનિસ્તાનમાં સક્રિય પાકિસ્તાન-વિરોધી સંગઠનો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
ખોસ્તમાં થયેલા આ તાજેતરના બૉમ્બમારાથી આ વિસ્તારમાં વસતા નાગરિકોની સુરક્ષા અંગે ગંભીર ચિંતા જન્મી છે. સ્થાનિક પ્રશાસને ખાતરી આપી છે કે હૉસ્પિટલમાં દાખલ ઘાયલોની હાલત સ્થિર છે, તેમ છતાં સરહદી વિસ્તારમાં તણાવ વધવાની શક્યતા હજી પણ યથાવત્ છે.