Last Updated on by Sampurna Samachar
ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતા વહેલું ખતમ થશે
ઈરાન પાયમાલ થઈ રહ્યું છે અને તેની પાસે યુરેનિયમનું સંવર્ધન કરવાની કે નવી બેલેસ્ટિક મિસાઇલ બનાવવાની ક્ષમતા બચી નથી
(સંપૂર્ણ સમાચાર સેવા)
વિશ્વભરમાં તેલ અને ગેસના વધતા સંકટ વચ્ચે ઈઝરાયલના પ્રધાનમંત્રી નેતન્યાહૂએ એક અત્યંત મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે દાવો કર્યો છે કે ઈરાન સામેનું આ યુદ્ધ લોકોની ધારણા કરતા ઘણું વહેલું સમાપ્ત થઈ શકે છે. એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે જણાવ્યું કે ઈરાન અત્યારે પાયમાલ થઈ રહ્યું છે અને હવે તેની પાસે યુરેનિયમનું સંવર્ધન કરવાની કે નવી બેલેસ્ટિક મિસાઇલ બનાવવાની ક્ષમતા બચી નથી.

વધુમાં, ઈરાનના ઉચ્ચ નેતૃત્વમાં પણ આંતરિક વિખવાદ અને ભારે તણાવ જોવા મળી રહ્યો છે. આયતુલ્લા અલી ખામેનેઈ બાદ સત્તામાં આવેલા મુજતબા ખામેનેઈ હજુ સુધી જનતા સામે આવ્યા નથી, જે ઈરાનની નબળાઈ તરફ ઈશારો કરે છે.ઈઝરાયલે અમેરિકાને યુદ્ધમાં ખેંચ્યું હોવાના આરોપો પર વળતો પ્રહાર કરતા નેતન્યાહૂએ કહ્યું કે, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હંમેશા પોતાના દેશના હિતમાં સ્વતંત્ર રીતે ર્નિણયો લે છે, તેમને કોઈ દબાણ કરી શકતું નથી.
સૈન્ય કાર્યવાહી પર રોક લગાવી દેવામાં આવી
હાલમાં ઈઝરાયલ અને અમેરિકાની સેના તેમજ ઇન્ટેલિજન્સ એજન્સીઓ સાથે મળીને વ્યૂહરચના મુજબ કામ કરી રહી છે. નેતન્યાહૂએ સ્પષ્ટ કર્યું કે ઈરાનના ગેસ કમ્પાઉન્ડ પર હુમલો કરવાનો ર્નિણય ઈઝરાયલનો પોતાનો હતો, પરંતુ હવે ટ્રમ્પની સલાહને માન આપીને આગળની સૈન્ય કાર્યવાહી પર રોક લગાવી દેવામાં આવી છે.
નેતન્યાહૂએ ભારપૂર્વક જણાવ્યું કે ઈઝરાયલ માત્ર પોતાની જ નહીં, પણ સમગ્ર વિશ્વ અને મધ્ય પૂર્વની સુરક્ષા માટે લડી રહ્યું છે. ઈરાન દ્વારા આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગ સ્ટ્રેટ ઑફ હોર્મુઝ બંધ કરીને દુનિયાને બ્લેકમેલ કરવાના જે પ્રયાસો થઈ રહ્યા છે, તે ક્યારેય સફળ નહીં થાય. નેતન્યાહૂના મતે ઇરાન અત્યારે આંતરિક અને બાહ્ય એમ બંને મોરચે નબળું પડ્યું હોવાથી આ જંગ હવે તેના અંતિમ તબક્કામાં છે અને ટૂંક સમયમાં જ શાંતિ સ્થપાઈ શકે છે.
વધુમાં નેતન્યાહૂએ જણાવ્યું કે, ઈઝરાયલ હવે ઈરાનને હવામાં, જમીન પર અને જમીનની અંદર એમ ચોતરફથી નિશાન બનાવી રહ્યું છે, જેનો મુખ્ય લક્ષ્ય ઈરાની લોકોને આઝાદી અપાવવાનો અને રિવોલ્યુશનરી ગાર્ડ્સના પ્રભાવને કાયમ માટે નાબૂદ કરવાનો છે. અમેરિકા સાથેના સંબંધો પર પ્રકાશ પાડતા તેમણે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના શાનદાર તાલમેલની પ્રશંસા કરી હતી.
તેમણે કહ્યું કે ટ્રમ્પ કોઈના દબાણમાં આવ્યા વગર સ્વતંત્ર ર્નિણયો લે છે અને અમેરિકાની આ મદદથી જ ઈઝરાયલ આ ઐતિહાસિક સિદ્ધિઓ હાંસલ કરી રહ્યું છે. ઘરઆંગણે પણ નેતન્યાહૂએ યુદ્ધથી પ્રભાવિત લોકોને યોગ્ય વળતર આપવાની અને દેશના અર્થતંત્રને ફરી વેગ આપવાની ખાતરી આપી છે.