Last Updated on by Sampurna Samachar
પરિણીતાના ઘરમાં ઘૂસીને આચર્યું હતું દુષ્કર્મ
(સંપૂર્ણ સમાચાર સેવા)
આણંદ શહેરમાં સિખોડ તલાવડી વિસ્તારમાં રહેતી પરિણીતાના ઘરમાં ઘૂસી દુષ્કર્મ આચરનાર ભાજપના કાઉન્સિલર દીપુ પ્રજાપતિને પોલીસે વાસદ પાસેથી ઝડપી પાડી વઘુ તપાસ હાથ ઘરી છે.
મળતી માહિતી મુજબ આણંદ શહેરમાં સીખોડ તલાવડી વિસ્તારમાં રહેતી પરિણીતા ગત તારીખ ૬ જૂનના રોજ બપોરના સમયે પોતાના બે નાના બાળકો સાથે ઘરે હતી અને તેના પતિ કામ અર્થે બહારગામ ગયાં હતાં. તે દરમિયાન આણંદ નગરપાલિકાના વોર્ડ નંબર ૬નો ભાજપ કાઉન્સિલર દીપુભાઈ ગોરધનભાઈ પ્રજાપતિ આ પરિણીતાના ઘરે ગયો હતો અને વોટ નાખવા અંગેની તમારી પાસે પાવતી આવેલ છે? તેમ પુછ્યું હતું.
દરમિયાન પરિણીતાએ ના પાડતાં આ દીપુભાઇ ગોરધનભાઇ પ્રજાપતિએ તેણીનો મોબાઈલ નંબર લીધો હતો અને ‘તમારા મોબાઇલમાં વોટ આપવાની પાવતી વોટ્સઅપ મારફતે મોકલી આપીશ’ તેમ જણાવી ત્યાંથી જતો રહ્યો હતો. જે બાદ થોડીવારમાં વોટ આપવાની પાવતી મોકલી આપી હતી. જેના એકાદ કલાક બાદ આ દિપુ પ્રજાપતિએ પરિણીતાને ફોન કરી ‘તમે સારા લાગો છો, અને મને ગમો છો, તમારા પતિના વીડિયો મારી પાસે છે’ તેવું કહ્યું હતું. જેથી પરિણીતાએ ફોન કાપી નાંખ્યો હતો. ત્યારબાદ રાત્રીના સમયે આ દિપુ પ્રજાપતિએ ફરીથી પરિણીતાને ફોન કર્યો હતો અને ‘જો તું મારી સાથે વાતચીત નહી કરે તો, તે મારી સાથે જે અગાઉ વાતચીત કરેલ છે, તેનું રેકોડીંગ તારા પતિને મોકલી આપીશ અને તારો ઘરસંસાર તોડી નંખાવીશ’ તેવી ધમકીઓ આપી હતી.
જે બાદ રાત્રીના બારેક વાગ્યાના અરસામાં આ દિપુ પ્રજાપતિ પરિણીતાના ઘરે પહોંચી ગયો હતો અને ધાકધમકીઓ આપી મોઢુ દબાવી રૂમમાં લઈ જઈ, બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજાર્યું હતું. એટલુ જ નહિ, ‘જો આ વાતની કોઈને જાણ કરીશ તો તારા પતિને તથા તારા બાળકોને જાનથી મારી નાંખીશ’ તેવી ધમકીઓ આપી જતો રહ્યો હતો. આ ધમકીથી પરિણીતા ડરી ગઈ હતી અને પોતનો ઘર સંસાર તુટે નહી તે માટે આ અંગેની જાણ કોઈને કરી ન હતી.
ત્યારબાદ બાદ ગત ૧૬મી જૂનના રોજ બપોરના સાડા અગિયારેક વાગ્યાની આસપાસ પરિણીતા પોતાના ઘરના દરવાજે ઉભી હતી તે વખતે ત્યાં રોડ પરથી પસાર થતાં આ દીપુભાઈ ગોરધનભાઈ પ્રજાપતિએ ઈશારો કરી ફોન કરવા કહ્યું હતું. પરંતુ પરિણીતાએ ફોન કર્યો ન હતો. જેથી દિપુ પ્રજાપતિએ સામેથી ફોન કર્યો હતો અને ‘હું તારા ઘરે આવુ છું અને પાંચ-દશ મિનીટમાં પાછો જતો રહીશ’ તેમ જણાવ્યું હતું. જે તે વખતે પરિણીતાએ ના પાડી હતી. તેમછતાં આ દિપુ પ્રજાપતિ માન્યો ન હતો. જેથી આ દિપુ પ્રજાપતિના ડરથી પરિણીતા પોતાના માતા-પિતાના ઘરે જતી રહી હતી. રાત્રીના નવેક વાગે પરત ઘરે આવી હતી. ત્યારબાદ રાત્રીના દશેક વાગ્યાના અરસામાં જમી-પરવારીને પરિણીતાના પતિ બંને બાળકોને લઈ આઈસ્ક્રીમ લેવા બજારમાં ગયાં હતાં. તે વખતે આ દિપુ પ્રજાપતિ પરિણીતાના ઘરમાં ઘુસી ગયો હતો અને એકલતાનો લાભ લઇ બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું.
આ દરમિયાન પરિણીતાના પતિ ઘરે આવી જતાં દીપુભાઇ ગોરધનભાઈ પ્રજાપતિને પકડી લીધો હતો. બુમાબુમ થતાં પરિવારજનો તેમજ આસપાસના રહીશો એકત્રિત થઈ ગયાં હતાં. બીજી બાજુ આ અંગેની જાણ થતાં દિપુ પ્રજાપતિના બંને ભાઈઓ અને તેમના સાગરીતો લાકડી, પાઈપ જેવા હથીયાર લઈને દોડી આવ્યાં હતાં અને પરિણીતાના પરિવારજનો સાથે મારામારી કરી, દિપુ પ્રજાપતિને લઈ ગયાં હતાં. આ સમગ્ર ઘટનાના ઝ્રઝ્ર્ફ કેમેરામાં કેદ પણ થઈ હતી. આ બનાવ અંગે પરિણીતાની ફરીયાદને આધારે આણંદ ટાઉન પોલીસે દીપુભાઇ ગોરધનભાઇ પ્રજાપતિ, દિપુભાઈના બંને ભાઈઓ અને સાતેક સાગરીતો વિરૂદ્ધ નોંધ્યો હતો.
આ બનાવમાં પોલિસે ગણતરીના કલાકોમાં જ આ દુષ્કર્મી દિપુ પ્રજાપતિના બંને ભાઈઓ ભરતભાઈ ગોરધનભાઈ પ્રજાપતિ અને કમલેશભાઇ ગોરધનભાઈ પ્રજાપતિની અટકાયત કરી હતી. ત્યારબાદ મારામારીમાં સામેલ દિપુ પ્રજાપતિના અન્ય ચાર સાગરીતોની પણ ઘરપકડ કરી હતી.
દુષ્કર્મના ગુનાનો મુખ્ય સુત્રધાર દિપુ પ્રજાપતિ પોલીસ પકડથી દૂર નાસતો-ફરતો હતો. આ નાસતાં-ફરતાં દિપુ પ્રજાપતિને પકડવા માટે પોલીસની ત્રણ ટીમો કામે લાગી હતી. આખરે પંદર દિવસ બાદ પોલીસની ટીમે દીલીપભાઈ ઉર્ફે દીપુ ગોરધનભાઈ પ્રજાપતિને વાસદ નજીક હાઈવે પરથી ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પરિણીતાએ ભાજપનાં કાઉન્સિલર દીપુ પ્રજાપતી વિરુધ ફરીયાદ નોંધાવતા જ ભાજપ દ્રારા ગણતરીના કલાકોમાં દીપુ પ્રજાપતીને ભાજપનાં પ્રાથમિક સભ્યપદ સહીત તમામ પદ પરથી સસ્પેન્ડ કરી દીધો હતો.