Last Updated on by Sampurna Samachar
રાશનકાર્ડ ધારકોને સડેલા અનાજ પધરાવી દેવાય છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
સસ્તા અનાજની દુકાનના લાભાર્થીઓને કેટલી હદે અન્યાય કરવામાં આવી રહ્યો છે. તેમના હક્કનું અનાજ બારોબાર કઈ રીતે કટકી કરી લેવાય છે આ તમામ હકીકતોનો પર્દાફાશ કરવામાં આવ્યો. અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં આવેલી દુકાનોની સ્થિતિ કંઈ બહુ સારી નથી.
જ્યા લાભાર્થીને આપવામાં આવતો અનાજનો જથ્થો પડેલો છે એ ગોડાઉનની હાલત બદ્દ થી બદ્દતર છે. ચોખામાં ઈયળો બણબણી રહી છે. આવુ અનાજ લાભાર્થીને પધરાવી દેવાય છે. જ્યાં અનાજના કટ્ટા રાખવામાં આવેલા છે ત્યા પણ ભેજનું પ્રમાણ જોવા મળ્યુ. જમીન નીચે કોઈ જ પ્રકારની લાકડાની બેંચ કે તમાલપત્રી રાખવાની તસ્દી પણ લેવામાં આવી છે.
દુકાનદારેને પણ સડેલા અનાજથી નવાઈ નથી તે સ્વાભાવિક્તાથી તે કહે છે કે આવુ તો આવે જ છે.
કેટલુક અનાજ સારુ પણ છે. બધુ જ ખરાબ નથી. પરંતુ દુકાનદાર દ્વારા લાભાર્થીઓ સાથે કટકી તો એટલી હદે કરવામાં આવે છે કે જેની કોઈ હદ નથી. લોકો સ્વીકારે છે કે જે અનાજ તેમને મળવાપાત્ર છે તેટલુ મળતુ નથી અને અનાજ આપવાનો પૂરાવે જે અપાય છે તેમાં તો હદ જ થઈ ગઈ. લાભાર્થીને ૧૫ કિલો અનાજ આપીને ૨૫ કિલો અનાજનો મેસેજ કરવામાં આવે છે. ૧૦ કિલોની સીધી કટકી કરી લેવામાં આવે છે.
દર મહિને મળતા દાળ, ચોખા, તેલમાં તો અવારનવાર કટકી કરવામાં આવે છએ. મોટાભાગની રાશનની દુકાનમાં તપાસતા માલૂમ પડ્યુ કે તુવેરદાળ અને ખાંડનો તો જથ્થો જ અડધો આવે છે ત્યારે આ બાકી રહેલો અડધો જથ્થો રસ્તામાં બારોબાર કોણ ચાંઉ કરી જાય તે મોટો સવાલ છે, મોટાભાગના લાભાર્થીઓ તેમને દર મહિને મળનારી ખાંડથી વંચિત રહે છે, કારણ કે વર્ષમાં ૧૨ મહિના હોય છે અને ૬ વખત એવુ બને છે કે ખાંડનો જથ્થો ઉપરથી જ આવ્યો ન હોય.
સરકારી ગોડાઉનમાં અનાજ પહોંચતા પહેલા ફેક્ટરીમાંથી આવતા અનાજનું લેબ ટેસ્ટીંગ કરવામાં આવે છે.. ત્યારબાદ ગુજરાતના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના ગોડાઉનમાં અનાજ પહોંચે છે અને ત્યાર બાદ પણ તેનું લેબ ટેસ્ટીંગ કરવામાં આવે છે. જે પછી આ દુકાનો સુધી અનાજનો જથ્થો મોકલવામાં આવે છે. છતાં કેવું અનાજ પહોંચી રહ્યું છે, તે સૌ કોઈ જાણે છે. પણ જે પહોંચે છે, તે પણ પુરતું કેમ મળતું નથી? રાશનકાર્ડ ધરાવનારા મોટાભાગના લોકોએ આવશ્યક ચીજવસ્તુ ચણા તુવેર દાળ અને ખાંડ, મીઠું દર મહિને ન મળતું હોવાની પણ ફરિયાદો કરી છે. ઘઉં, ચોખા, ચણા, તુવેર દાળ, ખાંડ અને મીઠું પણ સસ્તા અનાજની દુકાનો મારફતે લોકોને ખુબ વ્યાજવી ભાવે મળી જાય છે. પરંતુ જે જથ્થો જે-તે મહિને ઓછો આવે. તે બીજા મહિને ગ્રાહકને સરપ્લસ કરી દેવામાં આવતો નથી. એક સવાલ એ પણ અમારા ધ્યાને આવ્યો જેમાં ચણા તુવેર દાળ ખાંડ નો જથ્થો પ્રત્યેક મહિને મળવા પાત્ર નથી, પરંતુ દાખલા તરીકે નવેમ્બર મહિનામાં મળવાપાત્ર તુવેર દાળ ન પહોંચે કે અલ્પ માત્રામાં કે અડધી માત્રામાં પહોંચે તો એનો લાભ બધા રેશનકાર્ડ હોલ્ડરોને મળતો નથી. આ પ્રકારે ૧૦-૧૦ કિલો થઈને જથ્થો કેટલા લોકો સુધી નથી પહોંચતો. એનો આંકડો પણ ઘણો મોટો છે. ખરેખર જે ઉદ્દેશ્ય સાથે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ કામ કરે છે, તેના લીરેલીરા ઉડી રહ્યા છે.દુકાન પર આવીને લાઈનમાં ઊભા રહીને પોતાને મળતું હકનું અનાજ તે પણ નક્કી કરાયેલા જથ્થા કરતા ઓછુ આપીને બેફામ કટકીનો વેપલો બેરોકટોક ચાલી રહ્યો છે.